સુરત પાલિકાની ચૂંટણીમાં જીતેલા તમામ 120 ઉમેદવારોએ દસ્તાવેજ જમા કરાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરત મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામ બાદ નવી બોર્ડ રચવા માટે વહિવટી પ્રક્રિયા તેજ બની ગઈ છે. પાલિકા તંત્રની સુચના પ્રમાણે જીતેલા તમામ ઉમેદવારોએ દસ્તાવેજ જમા કરાવવા માટે સુચના આપી હતી. ગઈ કાલ સુધીમાં પાલિકામાં 109 ઉમેદવારોએ દસ્તાવેજ જમા કરાવ્યા હતા બાકી રહેલા 11 ઉમેદવારોએ આજે બપોર સુધીમાં દસ્તાવેજ જમા કરાવ્યા છે અને હવે બાયોમેટ્રીક ચકાસણી પણ શરૂ થઈ ગઈ છે. હવે આગામી દિવસોમાં ભાજપ પ્રમુખની મંજૂરી બાદ નવી બોર્ડ બનશે અને તેમાં મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક કરાશે.
આગામી 16 મે ના રોજ અમાસ અને ત્યાર બાદ અધિક મહિનો હોવાથી 15 મે સુધીમાં પાલિકાની બોર્ડ બને તેવી ગણતરી થઈ રહી છે. આ પહેલા ચૂંટણી પરિણામ બાદ મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા 120 વિજેતા ઉમેદવારોને વિજય પ્રમાણપત્ર અપાયા બાદ પાલિકાના સેક્રેટરી વિભાગે તમામ નવ નિયુક્ત કોર્પોરેટરોને જરૂરી દસ્તાવેજો જમા કરાવવા સૂચના આપી હતી. બીજી તરફ રાજ્ય સરકારે ગેઝેટ બહાર પાડી મ્યુનિ. કમિશ્નરને પત્ર લખ્યો છે પ્રમુખ તારીખ આપ્યા બાદ બોર્ડ બોલાવવામાં આવશે. તે પહેલાં જીતેલા તમામ ઉમેદવારોના બાયોડેટા તથા અન્ય દસ્તાવેજો જમા કરવા સુચના આપી હતી. ગઈ કાલ સુધીમાં 109 ઉમેદવારોએ દસ્તાવેજ જમા કરાવી દીધા હતા.
સુરત પાલિકાની સુચના બાદ સૌથી પહેલા દસ્તાવેજ વરાછા વિસ્તારના જીતેલા ઉમેદવાર જયશ્રી વોરાએ જમા કરાવી દીધા હતા. ત્યારબાદ બાકી રહેલા 11 વિજેતા ઉમેદવારોમાંથી સૌથી છેલ્લા કોન્ટ્રાક્ટરમાંથી ઉમેદવાર બનેલા રવિન્દ્ર ખેરનારે દસ્તાવેજ જમા કરાવ્યા છે. ઉમેદવારોએ દસ્તાવેજો જમા કરાવ્યા છે, તેમના બાયોમેટ્રિક વેરિફિકેશનની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી રહી છે. તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ નવી બોર્ડ રચના અને સામાન્ય સભાની તારીખ જાહેર થાય તેવી શક્યતા છે.









