Gujarat

સાણંદના ચાચરાવાડીમાં કેમિકલ યુક્ત કચરો સળગાવતા હવાની ગુણવત્તા કથળી

By GS TEAM
24 Mar 20261 min read
સાણંદના ચાચરાવાડીમાં કેમિકલ યુક્ત કચરો સળગાવતા હવાની ગુણવત્તા કથળી

લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાંતંત્ર મૌન

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીએ ગુનાગરો સામે કાર્યવાહી કરવા પોલીસને જાણ કરીશું કહી હાથ ખંખેર્યા

બગોદરા -  સાણંદના ચાચરાવાડીમાં કેમિકલ યુક્ત કચરો સળગાવતા હવાની ગુણવત્તા કથળી છે. લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઇ રહ્યાં હોવા છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીએ ગુનાગરો સામે કાર્યવાહી કરવા પોલીસને જાણ કરીશું કહી હાથ ખંખેરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ ગ્રામ્યના ચાંગોદરમોરૈયા અને ચાચરાવાડી જેવા ઔદ્યોગિક હબ ગણાતા વિસ્તારોમાં પર્યાવરણના નિયમોના લીરેલીરા ઉડી રહ્યા છે. અહીંના એકમોમાંથી નીકળતો જોખમી કેમિકલ યુક્ત કચરો અને પ્લાસ્ટિક વેસ્ટ રાત્રિના અંધકારમાં ગામની સીમમાં ઠાલવવામાં આવે છે.

આ કચરાને બેફામ રીતે સળગાવવામાં આવતા આકાશમાં કોઈ મોટી કંપનીમાં આગ લાગી હોય તેવા ભયાનક દ્રશ્યો સર્જાયા છે. કેમિકલ યુક્ત ધુમાડાને કારણે સ્થાનિક રહીશોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના મહિલા અધિકારીએ જણાવ્યું કેગેરકાયદેસર રીતે કચરો સળગાવતા તત્વો સામે કાર્યવાહી કરવા માટે સ્થાનિક પોલીસને લેખિત જાણ કરવામાં આવશે. માત્ર કાગળ પરની કાર્યવાહીને બદલે હવે તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી જવાબદાર એકમો સામે કડક પગલાં ભરી હવા પ્રદૂષણ અટકાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.