વધુ લગેજ લઈ જવાની સવલતથી એર ઈન્ડિયામાં વધુ બૂકિંગ
- ભાડું ઓછું, માત્ર 9 કલાકમાં લંડન પહેંચાડે છે
- 46 કિલો સાથે 7 કિલો હેન્ડબેગની સગવડથી વધુ જવાનું પસંદ કરતા ચરોતરના લોકો
આણંદ : ચરોતરના લોકો અમદાવાદથી એર ઈન્ડિયાની ડાયરેક્ટ ફ્લાઈટ પસંદ કરવા માટે અનેક કારણો જણાવી રહ્યા છે. એર ઇન્ડિયાની ફ્લાઈટ ડાયરેક્ટ લંડન જતી હોય છે. જેનું રિટર્ન ભાડું અંદાજિત ૬૦,૦૦૦ રૂપિયા જેટલું હોય છે. જેનો સમય માત્ર ૯ કલાક જેટલો છે. દરેક પેસેન્જરને ૨૩ કિલોની બે બેગ એટલે કે કુલ ૪૬ કિલો લગેજ તેમજ સાત કિલોની હેન્ડબેગ લઈ જવાની પરવાનગી આપવામાં આવે છે. ચરોતરના લોકો એર ઇન્ડિયાની ફ્લાઈટમાં વધુ વજન લઈ જવાની સવલતના ફાયદાને કારણે એર ઇન્ડિયા પસંદ કરતા હોય છે.
વિદેશમાં વસતા પરિવારજનો માટે નાસ્તો, અથાણા, વિવિધ પ્રકારના લોટ, અનાજ વગેરે વધારે લઈ જઈ શકાય. જ્યારે અમદાવાદથી લંડન જતી અન્ય ફ્લાયટો વાયા દુબઈ, કતાર અથવા સાઉદીમાં થઈને જાય છે. જેનું ભાડું રૂા. ૭૦,૦૦૦થી વધુ હોવા છતાં લગેજમાં માત્ર ૨૩ કિલોની એક બેગ અને સાત કિલોની હેન્ડબેગ જ લઈ જવાય છે. અન્ય ફ્લાઈટ ૧૨ કલાકથી વધુ સમય બાદ લંડન પહોંચતી હોવાના લીધે એર ઇન્ડિયામાં આણંદ જિલ્લાના મુસાફરો વધારે બુકિંગ કરાવતા હોય છે.