ટેક્નિકલ ખામી સર્જાતાં અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ રદ, મુસાફરો ઍરપોર્ટ પર અટવાયા
freepik |
Air India Flight Technical Issue: અમદાવાદમાં 12મી જૂને લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં 270થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન મંગળવારે (17મી જૂન) અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતાં તેને રદ કરી છે. આ ફ્લાઇટ બપોરે 1:10 વાગ્યે અમદાવાદથી લંડન જવા માટે ટેક ઑફ થવાની હતી. આ ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરો ઍરપોર્ટ પર અટવાયા હતા.
એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 159 રદ કરવી પડી
મળતી માહિતી અનુસાર, એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 159 મંગળવારે બપોરે 1:10 વાગ્યે અમદાવાદથી લંડન માટે ટેક ઑફ થવાની હતી. પરંતુ ટેક ઑફના માત્ર થોડાક કલાકો પહેલાં આ ફ્લાઇટમાં ટેકનિકલ ખામી જણાતાં તેને રદ કરવી પડી હતી. આ ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
મુંબઈથી અમદાવાદ આવી રહેલી ફ્લાઇટમાં ખામી સર્જાઈ
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ ફ્લાઇટમાં મુસાફરી કરતાં લોકોમાં ભયનો માહોલ છે ત્યારે એર ઇન્ડિયાના વિમાનોમાં એક બાદ એક ખામી સર્જાવવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. એવામાં મુંબઈથી અમદાવાદ આવી રહેલી ફ્લાઇટ AI2493 રદ કરવી પડી હતી. આ ઉપરાંત સેન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટના એક એન્જિનમાં ટેક્નિકલ ખરાબી આવી હતી. જેના કારણે મંગળવારે (17 જૂન) કોલકાતાના ઍરપોર્ટ પર વિમાનના સ્ટોપઓવર દરમિયાન મુસાફરોને ઉતારવા પડ્યા હતા. ફ્લાઇટ AI180 સમયસર 00:45 વાગ્યે ઍરપોર્ટ પર પહોંચી, પરંતુ ડાબા એન્જિનમાં ટેક્નિકલ ખરાબીના કારણે ઉડાનમાં મોડું થયું. લગભગ 05:50 વાગ્યે વિમાનના તમામ મુસાફરોને ઉતરવા માટે કહેવામાં આવ્યું છે. વિમાનના કેપ્ટને મુસાફરોને જણાવ્યું કે, 'ફ્લાઇટની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.'
આ પણ વાંચો: ઈન્ડિગો વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી
અમદાવાદ અકસ્માત બાદ ભયનો માહોલ
પાંચ દિવસ પહેલા જ્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટથી લંડનના ગેટવિક ઍરપોર્ટ જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેક ઑફ કર્યાના થોડી જ મિનિટોમાં બી. જે. મેડિકલ કૉલેજની હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાઈ હતી. ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો, 10 કેબિન ક્રૂ સભ્યો અને બે પાયલટનો સમાવેશ થાય છે. બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશ સિવાય બધાના મોત થયા હતા. ત્યારથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.