અમદાવાદની રથયાત્રામાં પહેલીવાર AI ટેકનોલોજીનો ઉપયોગ, બેંગાલુરુ જેવી ઘટના ન બને તેનું રખાશે ધ્યાન
Ahmedabad News: ગુજરાતના અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148 રથયાત્રા 27 જૂને નીકળવાની છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રામાં સુરક્ષાને લઈને તમામ તૈયારી કરી લીધી છે. જેમાં રથયાત્રામાં પહેલીવાર AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે આજે રવિવારે (22 જૂન) અમદાવાદ પોલીસ કમિશનરે રથયાત્રા રૂટ પર નિરીક્ષણ કર્યું હતું. પોલીસ કમિશનરની સાથે ACP,DCP સહિતના અધિકારીએ પોઇન્ટના નિરીક્ષણમાં હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 'રથયાત્રાને લઈને 20 હજારથી વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવશે. બેંગાલુરુ જેવી ઘટના ન બને તેનું ધ્યાન રાખવામાં આવશે.'
રથયાત્રાને લઈને પોલીસ કમિશનરે શું કહ્યું?
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે જણાવ્યું હતું કે, આગામી 27 જૂનના રોજ અમદાવાદમાં રથયાત્રા નીકળવાની છે, ત્યારે રૂટ ઉપર નિરીક્ષણ અને રિહર્સલ કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, રથયાત્રાને લઈને આગામી 24 જૂને સવારે 6 વાગ્યે અને 25 જૂને બે વખત રિહર્સલ કરવામાં આવશે. જ્યારે શાંતિ સમિતિ બેઠક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ક્રિકેટ મેચ, વોલીબોલ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અસામાજિક તત્ત્વોને પકડવાની કામગીરી પોલીસ કરી રહી છે.
બેંગલોરમાં RCBની પરેડ વખતે સર્જાયેલી ઘટના ન બને તેના માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં ભીડ પર નજર રાખવા માટે AI ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. આ સાથે 20 હજારથી વધુ પોલીસ બંદોબસ્ત પમ ગોઠવામાં આવશે.