Get The App

હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે: વંદે ભારત એક્સપ્રેસના રૂટ, સમય અને સ્ટેશનમાં મોટો ફેરફાર

Updated: Jun 25th, 2026

GS TEAM

Google News
Google News
હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે: વંદે ભારત એક્સપ્રેસના રૂટ, સમય અને સ્ટેશનમાં મોટો ફેરફાર 1 - image

Sabarmati Okha Vande Bharat Express New Timings: દ્વારકાધીશના દર્શને જવા ઈચ્છતા અમદાવાદીઓ માટે રેલવે મંત્રાલય તરફથી ખૂબ જ આનંદના સમાચાર આવ્યા છે. અમદાવાદ અને ઓખા વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સમયપત્રક, ઓપરેશનના દિવસો અને ટર્મિનલ સ્ટેશનમાં રેલવે બોર્ડ દ્વારા મહત્ત્વના ફેરફારોને મંજૂરી આપવામાં આવી છે. આ નવા ફેરફાર બાદ હવે પશ્ચિમ અમદાવાદના રહેવાસીઓને મુખ્ય રેલવે સ્ટેશન સુધી લાંબા થવું નહીં પડે, કારણ કે ટ્રેનને હવે આંબલી રોડ સ્ટેશન પર નવું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ નવી વ્યવસ્થાને કારણે શ્રદ્ધાળુઓ હવે એક જ દિવસમાં દ્વારકા જઈને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ મેળવીને પરત ફરી શકશે.

અમદાવાદને બદલે સાબરમતી જંક્શન મુખ્ય ટર્મિનલ બન્યું

રેલવે બોર્ડના સત્તાવાર નોટિફિકેશન અનુસાર, ટ્રેન નંબર 22925/22926 અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસ હવે અમદાવાદ (કાલુપુર) સ્ટેશનના બદલે સાબરમતી જંક્શનથી ઉપડશે અને ત્યાં જ તેનું પ્રસ્થાન તેમજ આગમન ટર્મિનલ રહેશે. સુધારેલા સમયપત્રક મુજબ, ટ્રેન નંબર 22925 સાબરમતી-ઓખા વંદે ભારત એક્સપ્રેસ સવારે 6:15 વાગ્યે સાબરમતી જંક્શનથી ઉપડશે અને બપોરે 1:20 વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન સાબરમતીથી નીકળીને આંબલી રોડ, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર અને દ્વારકા થઈને ઓખા પહોંચશે.

એ જ રીતે, પરત ફરતી ટ્રેન નંબર 22926 ઓખા-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ સાંજે 4:45 વાગ્યે ઓખાથી ઉપડશે અને રાત્રે 11:15 વાગ્યે સાબરમતી જંક્શન પર પરત ફરશે. આ ટ્રેન પણ દ્વારકા, જામનગર અને રાજકોટ સહિતના નિયત સ્ટેશનો પર સ્ટોપેજ કરશે.

આ પણ વાંચો :VIDEO: વેનેઝુએલામાં ભયાનક ભૂકંપથી હજારોના મોતની આશંકા, 1700 કિમી દૂર બ્રાઝિલ સુધી ધરા ધ્રુજી

પશ્ચિમ અમદાવાદ અને સાણંદના પ્રવાસીઓને મોટો ફાયદો

નવા સમયપત્રક હેઠળ, આ ટ્રેન બંને દિશામાં આંબલી રોડ સ્ટેશન પર 2 મિનિટ માટે ઊભી રહેશે. આ ઉપરાંત સાણંદમાં પણ તેનું સ્ટોપેજ રાખવામાં આવ્યું છે. આ નિર્ણયથી પશ્ચિમ અમદાવાદ, બોપલ, ઘાટલોડિયા અને સાણંદ તેમજ તેની આસપાસના વિસ્તારોમાં રહેતા પ્રવાસીઓને મોટો ફાયદો થશે. પ્રવાસીઓએ હવે ટ્રેન પકડવા માટે કાલુપુર સ્ટેશન જવાની જરૂર નહીં રહે.

હવે અઠવાડિયામાં 6 દિવસ દોડશે ટ્રેન

ટ્રેનના સંચાલનના દિવસોમાં પણ મોટો સુધારો કરવામાં આવ્યો છે. અગાઉ અમદાવાદ-ઓખા વંદે ભારત ટ્રેન મંગળવારે ચાલતી નહોતી, જ્યારે ઓખા-અમદાવાદ સર્વિસ બુધવારે બંધ રહેતી હતી. હવે નવી વ્યવસ્થા હેઠળ, બંને દિશાની ટ્રેનો અઠવાડિયામાં માત્ર મંગળવારે જ બંધ રહેશે અને બાકીના 6 દિવસ નિયમિત રીતે દોડશે. રેલવે બોર્ડ દ્વારા પશ્ચિમ રેલવેને આ ફેરફારો એડવાન્સ રિઝર્વેશન સિસ્ટમમાં તાત્કાલિક લાગુ કરવા અને મુસાફરોને પૂરતી માહિતી આપવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

દ્વારકા જઇ શકશો પણ દ્વારકાધીશના દર્શન નહી કરી શકો

અત્રે ઉલ્લેખનીય છે કે, દ્વારકા આ ટ્રેન બપોરે 12.30 વાગ્યે પહોંચાડશે. જ્યારે દ્વારકા મંદિર બપોરે 01 વાગ્યે બંધ થઇ જતું હોવાથી ભક્તો કઇ રીતે પહોંચીને દર્શન કરશે તે પણ એક મોટો પ્રશ્ન છે. કારણ કે દ્વારકા રેલવે સ્ટેશનથી દ્વારકા મંદિરનું અંતર 2થી3 કિલોમીટર છે. તેવામાં અડધો કલાકમાં મંદિર પહોંચીને દર્શન કરવા ખુબ જ મુશ્કેલ છે. આ ઉપરાંત મંદિર ખુલે છે સાંજે 5 વાગ્યે અને પણ સાંજે 5.05 વાગ્યે જ દ્વારકા ટ્રેન આવશે અને 05.10 વાગ્યે ઉપડશે તેવી સ્થિતિમાં કોઇ પણ રીતે દ્વારકાધીશના દર્શન કરવા મુશ્કેલ છે. કારણ કે ટ્રેન મંદિર બંધ થવાના સમયે તમને પહોંચાડશે અને ખુલવાના સમયે ઉપડી જશે તેવી સ્થિતિમાં દર્શન કઇ રીતે કરવા તે ભક્તો માટે સૌથી મોટો સવાલ છે. 

હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે: વંદે ભારત એક્સપ્રેસના રૂટ, સમય અને સ્ટેશનમાં મોટો ફેરફાર 2 - image