Get The App

અમદાવાદીઓ આજે આ રસ્તા પર જતાં ધ્યાન રાખજો, પોલીસે બહાર પાડ્યું છે જાહેરનામું

ફાઇનલ મેચ જોવા આવનારા દર્શકો માટે મ્યુનિ.એ એડવાન્સ પાર્કિંગ બુકિંગ ફરજિયાત કર્યું

રવિવારે બપોરે 2 વાગ્યાથી જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ સુધીનો રસ્તો વાહનચાલકો માટે બંધ રહેશે

Updated: May 26th, 2023

GS TEAM


Google News
Google News
અમદાવાદીઓ આજે આ રસ્તા પર જતાં ધ્યાન રાખજો, પોલીસે બહાર પાડ્યું છે જાહેરનામું 1 - image



અમદાવાદઃ છેલ્લા બે દિવસથી અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આઈપીએલની ક્વોલિફાયર-2 અને ફાઈનલ મેચની ટિકિટો માટે ભારે અફડાતફડી જોવા મળી હતી. બીજી બાજુ મેચના દર્શકો માટે  માટે મેટ્રોએ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી છે. મેટ્રોનું જે મહત્તમ ભાડું રૂ.25 છે તે દરે આ ટિકિટ મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી મળી શકશે. આ બંને દિવસો દરમિયાન ટ્રેનનો સમય પણ સવારે સાત વાગ્યાથી રાત્રિના દોઢ વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. દર પાંચ થી છ મિનિટે મેટ્રોની ફ્રિકવન્સી મળી રહેશે. સ્પેશિયલ પેપર કપ ટિકિટ મેટ્રોના મોટેરા સ્ટેડિયમ સ્ટેશનથી કોઈ પણ સ્ટેશન માટે જ મળી શકશે. 

ટિકિટના કાઉન્ટર 2 કલાક બંધ કરવા પડ્યા હતા
શુક્રવારે ક્વોલિફાયર-2 અને રવિવારે ફાઇનલ મેચ જોવા આવનારા દર્શકો  માટે મ્યુનિ.એ એડવાન્સ પાર્કિંગ બુકિંગ ફરજિયાત કર્યું છે. મ્યુનિ.એ કરેલા ટ્વિટમાં જણાવ્યું છે કે, લોકોને હાલાકી ભોગવવી પડે નહીં અને પાર્કિંગની સુવિધા મળી રહે તે હેતુથી દરેક પ્રેક્ષકે પોતાનું વાહન પાર્કિંગ AMDAPARK એપ્લિકેશન પરથી ફરજિયાત એડવાન્સ બુક કરાવીને આવવાનું રહેશે.ઓનલાઈન ટિકિટ બુક કરાવનારાએ સ્ટેડિયમ ખાતે ટિકિટ લેવા જવાનું હોય છે. ગુરુવારે મોટી સંખ્યામાં ટિકિટ લેવા જનારા લોકોની ભીડ ઉમટી પડતાં ભારે અફડાતફડી સર્જાઈ હતી. બપોરે 2.30 વાગ્યે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી અને ટિકિટના કાઉન્ટર 2 કલાક બંધ કરવા પડ્યા હતા. 

જનપથટીથી પ્રબોધ રાવળ સર્કલ જવાશે
સ્ટેડિયમની આસપાસ 20 જેટલા પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા છે. પરંતુ ગુરુવારે માંડ 4 પાર્કિંગમાં વાહનો એડવાન્સમાં બુક થયા હોવાનું ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું. મેચને પગલે સ્ટેડિયમની અંદર અને બહાર એક ડીઆઈજી, 7 ડીસીપી, 10 એસીપી, 90 પીઆઈ-પીએસઆઈ, 1500 પોલીસ કર્મચારી તેમજ ટ્રાફિક અને હોમગાર્ડના 1 હજાર જવાનો તહેનાત રહેશે. જ્યારે મેચને પગલે શુક્રવારે અને રવિવારે બપોરે 2 વાગ્યાથી જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ સુધીનો રસ્તો વાહનચાલકો માટે બંધ રહેશે. જ્યારે તપોવન સર્કલથી ઓએનજીસીથી વિસતથી જનપથટીથી પ્રબોધ રાવળ સર્કલ જવાશે.

Tags :