અમદાવાદના વસ્ત્રાપુરમાં સરકારી અધિકારીનો આપઘાત, સચિવાલયમાં બજાવતા હતા ફરજ
Ahmedabad News : અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના એક અધિકારીએ આત્મહત્યા કરી લીધી છે. મનોજકુમાર પૂજારા નામના આ અધિકારી વસ્ત્રાપુરની સરકારી વસાહતમાં આવેલા તેમના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા.
બુધવારે સવારે લગભગ 11 વાગ્યે આ ઘટના પ્રકાશમાં આવી હતી. જ્યારે પુજારાના ડ્રાઈવર તેમને દરરોજની જેમ લેવા આવ્યા ત્યારે ફોન પર સંપર્ક ન થતાં તેઓ સીધા તેમના ઘરે પહોંચ્યા હતા. ઘરનો દરવાજો ખુલ્લો જોઈને અંદર પ્રવેશતા જ તેમણે પુજારાને લટકતી હાલતમાં જોયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર પુજારા છેલ્લા 11 વર્ષથી એકલા રહેતા હતા. તેઓએ છૂટાછેડા લીધેલા હતા અને તેમનો એક પુત્ર મુંબઈમાં રહે છે. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસ સૂચવે છે કે એકલતાના કારણે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોઈ શકે છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે. આ ઘટનાથી રાજ્ય સચિવાલયમાં તેમના સહકર્મીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પુજારા શાંત અને શિસ્તબદ્ધ અધિકારી તરીકે જાણીતા હતા.