Get The App

સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ

Updated: Jun 24th, 2026

GS TEAM

Google News
Google News
સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ 1 - image

Ahmedabad News : અમદાવાદની શાન ગણાતી સાબરમતી નદી અને તેના રિવરફ્રન્ટના જળસ્તરને જાળવી રાખવા માટે મહત્વના એવા વાસણા બેરેજ ખાતે ચાલી રહેલું સમારકામનું મોટું ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. વાસણા બેરેજમાં રૂપિયા 10.15 કરોડના માતબર ખર્ચે 19 નવા દરવાજા નાખવાની તેમજ 10 ગેટનું રીપેરીંગ કરવાનું ભગીરથ કાર્ય સંપન્ન થયું છે. આ મહત્વની કામગીરી આટોપી લેવાયા બાદ હવે સાબરમતી નદીમાં ફરીથી દરવાજાની ઊંચાઈ સુધી પાણી ભરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે.

માત્ર 35 દિવસના ટૂંકા ગાળામાં રેકોર્ડબ્રેક કામગીરી

બુલેટ ગતિએ ચાલેલી આ કામગીરીની વિગતો મુજબ, વાસણા બેરેજના દરવાજાના વિવિધ ભાગોના ફેબ્રિકેશનની પ્રક્રિયા અગાઉથી જ ચાર માસના સમયગાળામાં પૂર્ણ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ ડેમમાંથી પાણી ખાલી કરીને મુખ્ય કામગીરી હાથ ધરાઈ હતી. પાણી ખાલી થયા બાદ માત્ર 35 દિવસના અત્યંત ટૂંકા અને મર્યાદિત સમયગાળામાં અંદાજે રૂ. 10.15 કરોડના ખર્ચે પાંચ હેવી ડ્યુટી મોબાઇલ ક્રેનની મદદથી 19 દરવાજા બદલવાની તેમજ 10 ગેટની રીપેરીંગ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે. આ આખી યાંત્રિક પ્રક્રિયા દરમિયાન અંદાજે 460 મેટ્રીક ટન જેટલા જંગી જથ્થામાં સ્ટ્રક્ચરલ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : વાયદા બજારમાં ફરી કડાકો: સોનું ₹1700 થી વધુ અને ચાંદી ₹1200 થી વધુ સસ્તી થઈ

સિવિલ સ્ટ્રક્ચરનું પણ મજબૂતીકરણ કરાયું

બેરેજની મજબૂતી લોંગ ટર્મ સુધી જળવાઈ રહે તે માટે માત્ર યાંત્રિક કે મેકેનિકલ કામગીરી જ નહીં, પરંતુ સિવિલ વિભાગ દ્વારા પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. સિવિલ વિભાગે હયાત સિવિલ સ્ટ્રક્ચર (બાંધકામ) ના મજબૂતીકરણ માટે સમાંતર કામગીરી હાથ ધરી હતી, જેથી ભવિષ્યમાં પાણીના પ્રવાહના દબાણ સામે બેરેજ સુરક્ષિત રહી શકે. ઉલ્લેખનીય છે કે, વાસણા બેરેજ ખાતે પાણીના સંગ્રહ અને નિકાલની વ્યવસ્થા જાળવવા માટે અલગ-અલગ સાઈઝના કુલ 30 દરવાજાઓ કાર્યરત છે. જેમાં 60 ફુટ X 12 ફુટ સાઈઝના 24 નંગ, 60 ફુટ X 14 ફુટ સાઈઝના 2 નંગ તથા 60 ફુટ X 16 ફુટ સાઈઝના 4 નંગ ગેટનો સમાવેશ થાય છે. આ તમામ દરવાજાઓ હવે ચોમાસા પહેલા સંપૂર્ણ રીતે સજ્જ થઈ જતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.