Ahmedabad to Thailand Direct Flight: 15 ઓગસ્ટથી સપ્તાહના ચાર દિવસ અમદાવાદથી થાઈલેન્ડની સીધી ફ્લાઈટ
Ahmedabad To Thailand Low Cost Airline : અમદાવાદથી થાઈલેન્ડનો પ્રવાસ કરવા માગતા લોકો માટે ટૂંક સમયમાં શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થવાની છે. 15 ઓગસ્ટથી સપ્તાહમાં ચાર વખત અમદાવાદથી થાઈલેન્ડની સીધી ફ્લાઈટ ઉડાન ભરશે. આ ઉપરાંત અકાસા એરલાઈન્સના જણાવ્યા મુજબ, 20 જુલાઈથી અમદાવાદથી જેદ્દાહ કનેક્ટિવિટી શરૂ કરાશે. સપ્તાહમાં બે વખત બુધવારે અને શનિવારે અકાસા એરલાઇન્સની ફ્લાઈટ ઉડાન ભરશે.
સપ્તાહમાં ચાર દિવસ ફ્લાઈટ ઉપલબ્ધ રહેશે
હાલ, ઈન્ડિગો અને સ્પાઈસ જેટ અમદાવાદથી થાઈલેન્ડની ડાયરેક્ટ ફ્લાઈટ સેવા આપે છે. થાઈ લાયન એર 20 જુલાઈથી અમદાવાદ એરપોર્ટથી થાઈલેન્ડના ડોન મુઆંગ એરપોર્ટ વચ્ચે ફ્લાઈટ શરૂ કરશે. 15 ઓગસ્ટથી સપ્તાહમાં મંગળવાર, ગુરૂવાર, શનિવાર અને રવિવાર એમ ચાર દિવસ ફ્લાઈટ ઉપલબ્ધ રહેશે. થાઈલેન્ડની લો-કોસ્ટ એરલાઈન થાઈ લાયન એરે ભારતમાં વિસ્તરણની શરૂઆત કરતાં અમદાવાદથી થાઈલેન્ડ ડાયરેક્ટ કનેક્ટિવિટી સસ્તા દરે શરૂ કરવાની પણ તૈયારી કરી છે, જેનો સીધો ફાયદો ફરવાના શોખીનોને મળશે. થાઈલેન્ડની આ લો-કોસ્ટ ફ્લાઈટ ભારતીય ફ્લાઈટને આકરી ટક્કર આપશે.
આ પણ વાંચો : SG Highway પર બનશે વધુ બે ઓવર બ્રિજ, ટ્રાફિકની સમસ્યા હળવી થવાની આશા
ફ્લાઈટ ટાઈમિંગ
અમદાવાદ એરપોર્ટથી ફ્લાઈટ રાત્રે 11.40 વાગ્યે ટેક ઑફ કરશે, જે સવારના 5.25 વાગ્યે થાઈલેન્ડ પહોંચશે. ડોન મુઆંગ એરપોર્ટથી સવારે 8 વાગ્યે ઉડ્ડયન કરશે, તો રાત્રે 11.40 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરશે. ટ્રાવેલ એજન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ગુજરાત ચેપ્ટર)ના ચેરમેન અને વર્લ્ડ ટ્રાવેલ ઈન્ડિયા લિમિટેડના ડિરેક્ટર રોનક શાહે જણાવ્યું હતું કે, ગુજરાતીઓ માટે ખાસ કરીને અમદાવાદીઓ માટે વિદેશ પ્રવાસ માટે થાઈલેન્ડ હોટ ફેવરિટ સ્થળ છે. વેકેશનમાં ગુજરાતી પરિવારો અને નવ દંપત્તિઓ ફુકેટ, ક્રાબી સહિતના સ્થળોની અવારનવાર મુલાકાત લેતા હોય છે. થાઈ લાયન એરની સસ્તી ફ્લાઈટથી આ સંખ્યામાં વધારો થવાની શક્યતા છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રના 3 ડેમ છલકાતા હાઇ એલર્ટ, જાણો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરની શું છે સ્થિતિ