અમદાવાદની ખારીકટ કેનાલની બીજા તબક્કાની કામગીરી માટે 829 કરોડ મંજૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kharicut Canal In Ahmedabad: અમદાવાદ માટે મહત્ત્વપૂર્ણ ગણાતી ખારીકટ કેનાલના વિકાસ અને નવીનીકરણની કામગીરી હવે બીજા તબક્કામાં શરૂ થવા જઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખારીકટ કેનાલ ફેઝ-2ની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, જેના માટે 829 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ અંદાજવામાં આવ્યો છે.
ફેઝ-2માં 22 કિ.મી. લાંબી કેનાલનું નિર્માણ
AMC વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરિયાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, 'કેનાલના બીજા તબક્કામાં કુલ 22 કિલોમીટર લાંબી કેનાલનું કામ કરવામાં આવશે. આ કામગીરી હેઠળ શહેરના પૂર્વીય વિસ્તારોને આવરી લેવામાં આવશે, જેમાં રીંગ રોડથી મુઠીયા ડ્રેઇન-નરોડા મુક્તિધામ સુધી, વિંઝોલ વેળાથી એક્સપ્રેસ વે સુધી, એક્સપ્રેસ વેથી આવકાર હોલ સુધી, આવકાર હોલથી વટવા સુધી અને વટવાથી રીંગ રોડ સુધી કેનાલ બનાવાશે.'
આ પણ વાંચો: જિગ્નેશ મેવાણીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું માંગ્યું, જનતા રેડની આપી ધમકી
પ્રથમ તબક્કાની કામગીરી 31મી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા સૂચના
ચેરમેન દિલીપ બગરિયાએ પ્રથમ તબક્કાની કામગીરીની પ્રગતિ વિશે પણ વાત કરી હતી. ખારીકટ કેનાલના પ્રથમ તબક્કામાં 12.75 કિલોમીટરની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેનો ખર્ચ અંદાજે 1300 કરોડ રૂપિયા હતો. આ કામગીરીને 31મી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા માટે સંબંધિત એજન્સીને સૂચના આપી દેવામાં આવી છે.
મહત્ત્વનું છે કે, કેનાલની આ સમગ્ર કામગીરી માટે કોંકણ રેલવેને કામ સોંપવામાં આવ્યું છે. બીજા તબક્કાની કામગીરી માટેના ટેન્ડરમાં 30 મહિનામાં કામગીરી પૂર્ણ કરવા માટેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.








