અમદાવાદીઓ વાંચી લો: 12 જાન્યુઆરીએ શહેરના કેટલાક રસ્તા રહેશે બંધ, વૈકલ્પિક માર્ગ કરાયા જાહેર
Ahmedabad News: અમદાવાદના ધમધમતા સિંધુભવન અને બોડકદેવના અમુક વિસ્તાર 12 જાન્યુઆરીના દિવસે મર્યાદિત સમય માટે બંધ કરવામાં આવ્યા છે. અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર શરદ સિંઘલ દ્વારા જાહેરનામું બહાર પાડીને આ વિશે માહિતી આપવામાં આવી છે. શનિવારે શહેરમાં આરોગ્ય અને તંદુરસ્તીની જાગૃતિ માટે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે અમુક રોડ બંધ કરી વૈકલ્પિક માર્ગની પણ સુવિધા આપવામાં આવી છે.
જાહેરનામું બહાર પાડી આપી માહિતી
અમદાવાદ શહેરમાં આગામી 12 જાન્યુઆરીએ રોજ લોકોમાં આરોગ્ય તથા તંદુરસ્તીની જાગૃતિ લાવવા બોડકદેવ-સિંધુભવન રોડ ઉપર એક પ્રાઇવેટ કંપની દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે ઇવેન્ટ દરમિયાન નીચે જણાવેલા માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવ્યો છે.
- ઓરનેટ પાર્ક-2 સામે ગ્રાઉન્ડથી ચાઇનીઝ મેક્સિન ચાર રસ્તાથી ઓરનેટ પાર્ક કટથી જમણી બાજુના તાજ સ્કાય લાઇન તરફના જમણી બાજુના રોડ બંધ રહેશે. તાજ સ્કાઇ લાઇનથી પરત ઉપરોક્ત રોડ ઉપર ગોટીલા ગાર્ડન કટ થઈ જાજરમાન ચાર રસ્તાથી ડાબી બાજુ વળી બાગબાન ચાર રસ્તાથી સિલ્વર રેડિયન્સ ચાર રસ્તાથી ડાબી બાજુ વળી રેલ્વે ઓવરબ્રિજ થઈ શુકન મોલ ચાર રસ્તાથી ડાબી બાજુ વળી સાયન્સ સીટી રોડ થઈ સાયન્સ સીટી બસ સ્ટેન્ડ ચાર રસ્તાથી ડાબી બાજુ વળી સાયન્સ સીટી ગેટ નં.5 સામે થઈ અમાયા નવી બનતી સાઇડ સુધીનો ડાબી બાજુનો માર્ગ/રોડ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત રહેશે.
- વૈકલ્પિક રસ્તોઃ આ રૂટના વૈકલ્પિક માર્ગ તરીકે આ રૂટ ઉપરના જમણી બાજુના માર્ગ/રોડનો વાહનોની અવર જવર માટે ઉપયોગ કરી શકાશે.
- ઓરનેટ પાર્ક-2 સામે ગ્રાઉન્ડ થી ચાઇનીઝ મેક્સિકન ચાર રસ્તાથી ડાબી બાજુ વળી ગ્રીન ફિલ્ડ બંગલો થઈ શોહમ પ્રેટીસ ચાર રસ્તા સુધીનો બન્ને બાજુનો માર્ગ/રોડ વાહનોની અવર જવર માટે બંધ રહેશે.
- વૈકલ્પિક રસ્તોઃ ઓરનેટ પાર્ક-૨ સામે ગ્રાઉન્ડ થઈ મેપલ કાઉન્ટી ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી બોડકદેવ પોલીસ સ્ટેશન સામે થઈ તક્ષશિલા ચાર રસ્તા સુધીના રોડનો વાહનોની અવર જવર માટે ઉપયોગ કરી શકાશે.
નોંધનીય છે કે, કાર્યક્રમ સાથે સંકળાયેલા વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારા લોકોને આ જાહેરનામું લાગુ પડશે નહીં. અન્ય કોઈપણ વ્યક્તિ દ્વારા આ જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવશે તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 223 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ સજા કરવામાં આવશે.