અમદાવાદ: સરખેજમાં લગ્નના માત્ર 3 મહિનામાં પતિએ પત્નીનું ગળું કાપી કરી હત્યા, આરોપીની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News: અમદાવાદના સરખેજમાં લગ્નના માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં જ એક પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે. રાતે જ્યારે પત્ની ગાઢ નિંદ્રામાં હતી, ત્યારે પતિએ તેના ગળાના ભાગે છરીના જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. આ કૃત્ય કરીને આરોપી પતિ મકાનના ધાબા પરથી કૂદીને નાસી છૂટ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે અને સરખેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણો શું છે મામલો
મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના સુરવન ગામના વતની પપ્પુ પારગીની દીકરી રાસીતાના લગ્ન મેહુલ મુનિયા સાથે થયા હતા. રોજગારીની શોધમાં આ નવદંપતી મેહુલના પિતા લાલચંદ સાથે અમદાવાદ રહેવા આવ્યું હતું. ગત રાત્રે જ્યારે પપ્પુ પારગી પોતાના વતન રાજસ્થાનમાં હતા, ત્યારે તેમના વેવાઈ લાલચંદે ફોન કરીને આઘાતજનક સમાચાર આપ્યા હતા કે, રાસીતાને ગળામાં છરી વાગી છે અને તેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ સમાચાર મળતા જ રાસીતાનો પરિવાર તાત્કાલિક અમદાવાદ દોડી આવ્યો હતો.
લાલચંદ સહિત ત્રણેય સરખેજમાં એક મકાનના ધાબા પર સૂતા હતા. વહેલી સવારે રાસીતાની હૃદયદ્રાવક ચીસો સાંભળીને લાલચંદ જાગી ગયા ત્યારે તેમણે જોયું કે રાસીતા લોહીલુહાણ હાલતમાં તરફડી રહી હતી અને તેમનો જ પુત્ર મેહુલ ધાબા પરથી કૂદીને ભાગી રહ્યો હતો. ઇજાગ્રસ્ત રાસીતાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હોવા છતાં, ગળાના ભાગે ઊંડો ઘા હોવાથી અને વધુ પડતું લોહી વહી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું. હાલમાં સરખેજ પોલીસે મૃતકના પિતા પપ્પુ પારગીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો દાખલ કરી ફરાર હત્યારા પતિ મેહુલને ઝડપીને આગળની તપાસ શરૂ કરી છે.








