| Image - Chennai Super Kings, Twitter |
અમદાવાદ, તા.28 મે-2023, રવિવાર
આજે આખા અમદાવાદમાં ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે. આજે મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL-2023ની ફાઈનલ મેચમાં પણ વરસાદ વિલન બનીને આવ્યો છે, જેના કારણે મેચ પર સંકટના વાદળો ઘેરાયા છે, કારણ કે વધુ પડતો વરસાદ પડ્યો હોવાથી ક્રિકેટ રસિયાઓ પણ મેચ રદ થવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. દરમિયાન જો વરસાદના કારણે આજની મેચ રદ થાય તો કેવી રીતે વિજેતા નક્કી કરવામાં આવશે, તેવો પ્રશ્ન હાલ દરેક ક્રિકેટ પ્રેમીઓ પાસે થઈ રહ્યો હશે.
હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી
હવામાન વિભાગે અમદાવાદમાં આજે સાંજે વરસાદ પડવાની કરેલી આગાહી સાચી પડી છે. હવામાન વિભાગે અમદાવાદમાં બે કલાક વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી હતી. આ અગાઉ ગુજરાત અને મુંબઈ વચ્ચે રમાયેલી ક્વાટર ફાઈનલ મેચમાં પણ વરસાદ વરસ્યો હતો.
મેચ રદ થશે તો કેવી રીતે નક્કી થશે વિજેતા ?
આ વર્ષે આ સીઝનમાં ફાઈનલ માટે રિઝર્વ દિવસ રાખવામાં આવ્યો નથી. જો પ્રથમ ઇનિંગમાં કોઈ ટીમ 20 ઓવર રમી લે છે અને ત્યાર બાદ વરસાદના કારણે મેચ અટવાય તો બીજી ટીમે ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ મેચના નિર્ણય માટે પાંચ ઓવર રમવી પડશે. જો કોઈ કારણોસર બંને અથવા કોઈપણ એક ટીમ પાંચ ઓવર રમી શકતી નથી અને કટ-ઓફ સમય વટાવ્યા બાદ વરસાદ બંધ થઈ જાય છે, તો બંને ટીમો સુપર ઓવર રમશે અને સુપર ઓવરમાં નક્કી થશે કે કઈ ટીમ ચેમ્પિયન બનશે. જો સુપર ઓવર પણ ન રમાઈ શકે તો લીગ રાઉન્ડ દરમિયાન પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેલી ટીમને વિજેતા માનવામાં આવશે.


