અમદાવાદમાં આજથી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, ખેલૈયાઓની મજા બગડશે
Navratri 2025 Rain Forecast: અમદાવાદના વાતાવરણમાં આજથી (27મી સપ્ટેમ્બર) પલટો આવે અને ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. વરસાદની સંભાવનાને પગલે ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં મૂકાઈ ગયા છે. હવામાન વિભાગ અનુસાર, શનિવારે (27મી સપ્ટેમ્બર) વરસાદની સંભાવના નથી. અલબત્ત, રવિવારે બપોર બાદ વરસાદ પડી શકે છે. અમદાવાદમાં બુધવાર સુધી હળવાથી મધ્યમ ઝાપટાં પડે તેવી સંભાવના છે.
આગામી ચાર દિવસ 23 જેટલા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે
હવામાન વિભાગ અનુસાર, રવિવારે (27મી સપ્ટેમ્બર) નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જ્યારે સોમવારે (28મી સપ્ટેમ્બર) સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જ્યારે મંગળવારે અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, વાપી, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે.
અમદાવાદમાં શુક્રવારે (26મી સપ્ટેમ્બર) દિવસ દરમિયાન 35.8 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. વરસાદની સંભાવનાને પગલે રવિવારથી તાપમાન 32 ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે.
ચોમાસાની વિદાય ટાણે જ વરસાદી માહોલ
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 111 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છમાં 131 ટકા અને ઉત્તર ગુજરાતમાં 119 ટકા વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 117 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 113 ટકા અને સૌરાષ્ટ્રમાં 96 ટકા વરસાદ પડ્યો છે. હવે ચોમાસાની વિદાય ટાણે જ ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં મેઘરાજાએ જમાવટ કરી છે.