Get The App

અમદાવાદ ગ્રામ્ય SP ઓફિસ નજીક ગટર અને વરસાદી પાણી ભરાયા, સર્વિસ રોડ બેસી જવાની ભીતિ, હાઈવે પર ટ્રાફિકજામ

Updated: Jun 19th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ ગ્રામ્ય SP ઓફિસ નજીક ગટર અને વરસાદી પાણી ભરાયા, સર્વિસ રોડ બેસી જવાની ભીતિ, હાઈવે પર ટ્રાફિકજામ 1 - image

Ahmedabad News: ચોમાસા પૂર્વે ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રૂપિયાની પ્રિમોનસૂન કામગીરીના દાવા કરનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ સામાન્ય વરસાદી ઝાપટામાં જ ખુલ્લી પડી છે. એસ.જી. હાઈવે પર અમદાવાદ ગ્રામ્ય એસપી કચેરી નજીક રોડના ખાડામાં ભારે પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ અને ગટરના પાણી ભરાવાને કારણે વાહનો ધીમી ગતિએ પસાર થતાં મેઈન રોડ તેમજ સર્વિસ રોડ પર લાંબા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. 

નવાઈની વાત છે કે, રોડની કિનારીએ બનાવેલી ગટર પણ છલોછલ ભરાઈ ગઈ છે એવામાં પાણીનો નિકાલ ક્યાંથી થાય. એટલું જ નહીં મેઈન રોડની વચ્ચે ગટર લાઈન અને એની બાજુમાં સર્વિસ રોડ છે, એમાં મેઈન ગટરનું પાણી સર્વિસ રોડની નીચે માટીમાં જતું હોવાથી સર્વિસ રોડ બેસી ગમે ત્યારે બેસી જાય એવી અને મોટી દુર્ઘટના થાય એવી પણ પ્રબળ શક્યતા છે. હવે જોવું રહ્યું કે, AMCના સત્તાધીશો ક્યારે કુંભકરણની ઊઘમાંથી જાગે છે અને કામગીરી કરે છે.

સામાન્ય ઝાપટામાં હાઈવે તળાવ બન્યો

એસ. જી. હાઈવે પર અમદાવાદ ગ્રામ્ય SPની ઓફિસથી માત્ર 20-25 મીટરના અંતરે જ સામાન્ય ઝાપટામાં જાણે ભારે વરસાદ ખાબક્યો હોય તેટલું પાણી રોડના ખાડાઓમાં ભરાઈ ગયું છે. આશ્ચર્યની વાત તો એ છે કે, વરસાદી પાણીના નિકાલ માટે રોડની કિનારીએ બનાવેલી ગટરો પણ છલોછલ ભરાઈ ગઈ છે, જેના કારણે પાણીનો નિકાલ ક્યાંથી થાય તે એક મોટો પ્રશ્ન છે. આ પાણી ભરાવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ફરજિયાતપણે એક જ લાઈનમાં ધીમે વાહનો હંકારવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. પરિણામે, સાણંદ ચોકડી તરફ જતા મેઈન રોડ અને તેની બાજુમાં આવેલા સર્વિસ રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે.

ગટરનું પાણી માટીમાં ઉતરતા સર્વિસ રોડ ગમે ત્યારે બેસી જવાની આશંકા

આટલું ઓછું હોય તેમ, એક મોટી દુર્ઘટનાને પણ અહીં આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. મેઈન રોડની વચ્ચે આવેલી ગટર લાઈનનું પાણી સીધું બાજુના સર્વિસ રોડની નીચે માટીમાં ઉતરી રહ્યું હોવાથી, સર્વિસ રોડ ગમે ત્યારે બેસી જાય તેવી પ્રબળ શક્યતા ઉભી થઈ છે. નોંધનીય છે કે, આ જ સ્થળે આજથી પાંચ મહિના પહેલાં પણ વરસાદ વિના જ ગટરના ગંદા પાણી ભરાયા હતા, જેની ભયંકર દુર્ગંધ અને ટ્રાફિકથી નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા હતા. અગાઉના બનાવોમાંથી પણ કોઈ પાઠ ન ભણનાર AMCના સત્તાધીશો હવે ક્યારે પોતાની કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે અને જનતાને પડતી આ હાલાકીનું કાયમી નિવારણ લાવશે, તે જોવું જ રહ્યું.