અમદાવાદ બન્યું 'ખાડાવાદ': પાલડી,નારણપુરા, નવરંગપુરા, નવાવાડજ સહિત અમદાવાદમાં 1600થી વધુ ખાડા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદમાં વર્ષ 2017માં ભારે વરસાદના કારણે રુપિયા 400 કરોડના રસ્તા તૂટી ગયા હતા. આઠ વર્ષ પહેલા સર્જાયેલી સ્થિતિ ફરી એક વખત જોવા મળી રહી છે.એક મહિનામાં 19 ઈંચ વરસાદ થયો છે. પાલડી, નારણપુરા, નવરંગપુરા ઉપરાંત ઘાટલોડિયા અને ચાંદલોડિયા સહીતના વિસ્તારમાં સૌથી વધુ 1600થી વધુ ખાડા પડ્યા છે. નવાઈની વાત એ છે કે કેટલાક વિસ્તારના રસ્તાઓ ઉપર પડેલા ખાડા પૂરાયા પછી ફરી વરસાદ પડતા ફરી એ જ સ્થળે ખાડા પડે છે. લોકોને પડતી હાલાકીની કોર્પોરેશનના અધિકારીઓને પડી નથી. એમને તો બસ ઉપરી સાહેબને ‘અમે આટલા ખાડા પૂરી દીધા છે’ એવું બતાવી દેવું છે.
શહેરના સૌથી વધુ વિકસિત એવા એલિસબ્રિજ, પાલડી, વાસણા, નારણપુરા, નવરંગપુરા હોય કે નવા વાડજ, રાણીપ અથવા તો ચાંદખેડા આ તમામ વિસ્તારોમાં એક મહિનામાં 1613 ખાડા અને 113 ભુવા મળી કુલ 1765 ખાડા પડ્યા હતા, જે તમામનુ સમારકામ કરી દેવાયું હોવાનુ સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવતા બોડકદેવ, થલતેજ ઉપરાંત ઘાટલોડિયા, ચાંદલોડિયા સહિત અન્ય વિસ્તારના રોડ 648 ખાડા પડ્યા હતા અને તેનું પણ સમારકામ ચાલુ હોવાનું કહેવાય છે.

ગત સપ્તાહે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામાં મળેલી અધિકારીઓ સાથેની બેઠકમાં તેમણે શહેરના વિવિધ રોડ ઉપર પડેલા ત્રણ હજારથી પણ વધુ ખાડા ત્રણ દિવસમાં પૂરવાની સૂચના આપી હતી. આ પછી તમામ વિસ્તારમાં રસ્તા પર પડેલા ખાડા પૂરવાની શરુઆત કરાઈ છે. જો કે, ખાડામાં યોગ્ય પુરાણ કરવામાં આવતું નહીં હોવાથી ફરી એ જ સ્થળે ખાડા પડી જતા હોય છે.









