જામીનદારે મામલતદારના સિક્કા વાળું બનાવટી સર્ટી. રજૂ કર્યાનો ગુનો નોંધાયો
કારંજ પોલીસની તપાસમાં શંકમદોના નામ ખુલ્યા
જામીન અંગેના દસ્તાવેજ શંકાસ્પદ જણાતા તપાસના આદેશ આપવામાં આવતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું
અમદાવાદ,શુક્રવાર
ધી કાંટામાં આવેલી કોર્ટના એક કેસમાં આરોપીના જામીન માટે એક જામીનદારે
મામલતદારના સહી સિક્કા વાળુ બનાવટી પ્રમાણપત્ર કોર્ટમાં રજૂ કરતા સમગ્ર મામલે
કારંજ પોલીેસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. કેસની પ્રાથમિક તપાસમાં ેકેટલાંક
વકીલો અને એજન્ટોની સંડોવણી અંગેના પુરાવા પોલીસને મળ્યા છે.
ધી કાંટામાં આવેલી ચીફ જ્યુડીશીયલ કોર્ટસમાં કામના ભારણના બહાના હેઠળ કેટલીક શંકાસ્પદ પ્રવૃતિ કરવામાં આવે છે. જેમાં જામીનદારોના રજીસ્ટ્રરની જાળવણી કરવામાં આવતી નથી તેમજ ખોટા જામીનદારો દ્વારા ગેરકાયદે સોંગધનામા કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. સાથે સાથે જામીનગીરી રકમ વસુલાત દરમિયાન જામીનખત દર્શાવવામાં આવેલી મિલકતો જામીનદારના નામે નહી હોવાની ગંભીર બાબત પણ સામે આવી હતી. આ સંદર્ભમાં રાશીદખાન ફિરોઝખાનના કેસમાં તેને ૨૦ હજારના જામીન પર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ માટે જામીનદાર કમરૂદ્દીન અસારી(રહે.ન્યુ ફૈસલનગર, વટવા)એ જામીનખત રજૂ કર્યુ હતું. જ્યારે હાલના નિયમ પ્રમાણે ૧૫ હજારથી વધારાની કિંમતના જામીનના કિસ્સામાં સોલવન્સી સર્ટિફીકેટ રજૂ કરવાનું રહે છે. કમરૂદ્દીન અંસારીએ સર્કલ સીટી ઓફિસર વટવાની સહી અને સિક્કા વાળું સર્ટીફિકેટ રજૂ કર્યું હતું. આ કેસમાં ટ્રાયલમાં આરોપી કોર્ટમાં હાજર થતો ન હોવાથી તેનું ધરપકડ વોરંટ ઇસ્યુ કરવાથી માંડીને જામીનદાર વિરૂદ્ધ કાર્યવાહી કરવાની હતી. પરંતુ, જામીનદાર મળી ન આવ્યો નહોતો. બીજી તરફ તેણે કોર્ટમાં આપેલા સોલવન્સી સર્ટીફિકેટની તપાસ કરતા તે ઓનલાઇનના બદલે હાથ બનાવટનું હતું. જેથી શંકા જતા આ અંગે વટવા પોલીસને તપાસની સુચના આપવામાં આપવામાં આવતા તે સર્ટીફિકેટ બનાવટી હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જે અંગે કોર્ટે ગંભીર નોંધ લેતા કોર્ટના આસીસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ મારફતે કાંરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આ કેસની તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.