મધ્ય પ્રદેશના કરિયર કોચને અમદાવાદ પોલીસનો કડવો અનુભવ, ગુનેગાર જેવું વર્તન કરી લાંચ માગ્યાનો આરોપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| AI IMAGE |
Ahmedabad News: સ્માર્ટ સિટી અમદાવાદમાં સુરક્ષાના દાવા વચ્ચે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. મધ્ય પ્રદેશના એક પ્રતિષ્ઠિત કરિયર કોચ પંકજસિંહ પરિહારને અમદાવાદ પોલીસનો અત્યંત કડવો અનુભવ થયો છે. તેમણે પોલીસ પર ગુનેગાર જેવું વર્તન કરી ચા-પાણી (લાંચ) માંગ્યાનો સનસનાટીભરો આક્ષેપ કર્યો છે. આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ પોલીસ વિભાગ હરકતમાં આવ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
મધ્ય પ્રદેશથી અમદાવાદ કામ અર્થે આવેલા પંકજસિંહ પરિહાર પોતાની ઓફિસનું કામ પતાવીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન CTM નજીક એક્સપ્રેસ વે પર પોલીસ ચેકપોઇન્ટ પાસે તેમને રોકવામાં આવ્યા હતા. પંકજસિંહના જણાવ્યા અનુસાર પોલીસે તેમનો મોબાઈલ ફોન બળજબરીથી લઈ લીધો હતો. પરવાનગી વગર ફોનની ગેલેરી અને પર્સનલ મેસેજ તપાસવામાં આવ્યા હતા. પોલીસે તેમને લગભગ 50થી 60 મિનિટ સુધી રસ્તા પર ઉભા રાખી માનસિક રીતે હેરાન કર્યા હતા.
આ પણ વાંચો: 45 વર્ષ અગાઉ રાજકોટમાં પક્ષપલટાના વિરોધમાં ચીમન શુક્લએ 21 દિવસ ઉપવાસ કર્યા હતા
કબૂતરબાજીનો આરોપ અને લાંચની માંગણી
પંકજસિંહે આરોપ લગાવ્યો છે કે, પોલીસે તેમના સાથીદારની ડાયરી તપાસી હતી અને કોઈ પણ પુરાવા વગર તેમના પર કબૂતરબાજી (માનવ તસ્કરી) કરતા હોવાનો ગંભીર આરોપ લગાવી દીધો હતો. આટલું જ નહીં, મામલો પતાવવા માટે પોલીસ કર્મચારીઓએ ચા-પાણીના બહાને લાંચની માંગણી કરી હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.
DCP કક્ષાના અધિકારીને સોંપાઈ તપાસ
આ ઘટનાની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પહોંચી હતી. અમદાવાદ પોલીસની છબીને નુકસાન પહોંચાડતી આ ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ સાયબર ક્રાઈમના DCP ને સોંપવામાં આવી છે. તપાસ બાદ દોષિત પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી થવાની શક્યતા છે.









