અમદાવાદ પ્લેન ક્રેશના સ્થળે નવી સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ અને રિહેબ સેન્ટર બનાવાશે, NOC મળ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad plane crash anniversary: અમદાવાદમાં ગત વર્ષે બનેલી પ્લેન ક્રેશની ઘટનાનેઆજે એક વર્ષ પુરુ થઈ ગયું છે ત્યારે હજુ સુધી સંપૂર્ણ તપાસ પુરી થઈ ન હોઈ પ્લેન ક્રેશની સાઇટ અવરજવર-વપરાશ માટે કોર્ડન છે પરંતુ જ્યારે સંપૂર્ણ તપાસ પૂરી થયા બાદ વપરાશ માટે મંજૂરી મળ્યા પછી સરકાર દ્વારા પ્લેન ક્રેશની સાઇટમાં ચાર નવા હોસ્ટેલ બિલ્ડિંગ તેમજ મેસ-કેન્ટિન બિલ્ડિંગ અને એક નવી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ સાથે રિહેબિલિટેશન સેન્ટર બનાવવાનું આયોજન છે.
પ્લેન ક્રેશની ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોના પરિવાજનોએ સરકારને પ્લેન ક્રેશના સ્થળને મેમોરિયલ સાઇટ તરીકે જાહેર કરી ત્યાં સ્મારક ભવન બનાવવાની માંગણી કરી હતી. પરંતુ સરકાર દ્વારા આ માંગણીને સ્વીકારાઈ ન હોઈ હવે પ્લેન ક્રેશના સ્થળે સ્મારક ભવન કે મેમોરિયલ નહીં બનાવાય પરંતુ સરકાર આ જગ્યાએ આરોગ્ય મંદિર અને શિક્ષણ મંદિરના સમાગમ સાથે નવી હોસ્ટેલ બિલ્ડિંગો તેમજ નવી હોસ્પિટલ અને રિહેબસેન્ટર બનાવવાનું આયોજન કરી રહ્યું છે. આ અંગે રાજ્ય સરકારના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે પ્લેન ક્રેશની સાઇટ ખાતે રેસિડેન્ટ ડોક્ટરો-સુપર સ્પેશિયાલિટી રેસિડેન્ટ ડોક્ટરો માટેની અદ્યતન હોસ્ટેલ બિલ્ડિંગ બનાવાશે.
અદ્યતન સુવિધાઓ સાથે શિફ્ટ થશે સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ
આ ઉપરાંત યુજી-પીજીના વિદ્યાર્થીઓ માટેની મેસ-કેન્ટિન બનાવાશે. વધુમાં આ સ્થળે ઘણી જગ્યા ખાલી છે ત્યારે સિવિલ કેમ્પસની હાલની સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટને પણ ત્યાં ખસેડીને નવેસરથી અદ્યતન સુવિધાઓ સાથે હોસ્પિટલ બનાવાશે. જેમાં નવા સાધનો વસાવીને તમામ પ્રકારની સુવિધા ઉભી કરાશે. આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે મૃતકોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ મળે તે માટે ગરીબ-જરૂરિયાતમંદ દર્દીઓને તમામ પ્રકારની સુવિધા સાથેની નવી સ્પાઇન હોસ્પિટલ સાથે ન્યુરો અને સ્પોર્ટસ સહિતના ફિલ્ડમાં રિહેબસેન્ટર પણ બનાવવાનું આયોજન છે.
મહત્ત્વનું છે કે પ્લેન ક્રેશ ઘટનામાં સંપૂર્ણ તપાસ પૂરી થઈ ન હોઈ આ સ્થળને કોર્ડન કરાયું છે અને હજુ સુધી અવરજવર કે વપરાશ માટેનું એનઓસી પણ તપાસ એજન્સી દ્વારા અપાયું નથી. જ્યાં સુધી વપરાશની મંજૂરી નહીં મળે ત્યાં સુધી આગળ નવા બાંધકામની કોઈ પણ કામગીરી શરૂ નહીં થાય.
સિવિલ-બી.જે કોલેજમાં 260 મૃતકોની યાદમાં આજે 260 વૃક્ષોનું વાવેતર કરાશે
પ્લેન ક્રેશની ઘટનાને 1 વર્ષ થઈ ગયું છે ત્યારે મૃત્યુ પામેલા 260 મૃતકોને શ્રદ્ધાંજલિ માટે બી. જે. મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ દ્વારા ખાસ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. જેમાં આવતીકાલે બી. જે. મેડિકલ કોલેજ પ્રશાસન દ્વારા 260 વૃક્ષો રોપવામાં આવશે. જેમાં 60 વૃક્ષો બી. જે. મેડિકલ કોલેજ બિલ્ડિંગની સામેના ગાર્ડનની ફરતે તેમજ 100 વૃક્ષો યુજી બોયઝ હોસ્ટેલના કમ્પાઉન્ડમાં અને 100 વૃક્ષો પોસ્ટમોર્ટમ રૂમના ખાલી પ્લોટમાં રોપાશે. સવારે 10:30 વાગે કોલેજ ઓડિટોરિયમ ખાતે પ્રાર્થના કરવામાં આવશે. ત્યારબાદ 11 વાગે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ વૃક્ષારોપણ થશે. બી. જે. મેડિકલ કોલેજના એમબીબીએસના પ્રથમ વર્ષના મૃત્યુ પામેલા ચાર વિદ્યાર્થીઓના પરિવારનો પણ આ કાર્યક્રમ ઓનલાઇન જોડાશે. ચાર વિદ્યાર્થીમાં એક ગુજરાતનો અને ત્રણ રાજ્ય બહારના હતા.
દાઝી ગયેલા ચાર વિદ્યાર્થીને પરીક્ષામાં રાઇટર આપવા પડે છે
પ્લેન ક્રેશની ઘટનામાં બી. જે. મેડિકલ કોલેજના યુજી-પીજીના 27 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. મેસ બિલ્ડિંગ પર પ્લેન પડ્યું ત્યારે હાજર કેટલાક વિદ્યાર્થીઓ દાઝી ગયા હતા. જેમાંથી ચારથી પાંચ વિદ્યાર્થીઓ પરીક્ષામાં લખી શકતા ન હોઈ કોલેજે યુનિ.ની મંજૂરીથી રાઇટર આપ્યા હતા. હજુ પણ એક વિદ્યાર્થીની યુનિ.ની ફાઇનલ પરીક્ષા બાકી હોઈ તેને રાઇટર ફાળવવામાં આવશે.








