VIDEO: હોસ્ટેલમાં આગ અને જીવ બચાવવા છલાંગ, વીડિયો અમદાવાદ પ્લેન ક્રેશ સમયનો હોવાનો દાવો
Air India Plane Crash: અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ગુરૂવારે (12મી જૂને) ક્રેશ થયું હતું. આ વિમાન અમદાવાદ એરપોર્ટ નજીક બી.જે મેડિકલ કોલેજ હોસ્ટેલની બિલ્ડિંગ સાથે અથડાયું હતું. આ દુર્ઘટનામાં 270થી વધુ લોકોના મૃત્યુ નીપજ્યા છે. હવે એક નવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દ્રશ્યો 12 જૂને પ્લેન ક્રેશ થયું તે સમયના જ છે. વીડિયોમાં ભીષણ આગથી પોતાનો જીવ બચવા વિદ્યાર્થીઓ અને ડૉક્ટરો હોસ્ટેલમાંથી કૂદી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે.
બિલ્ડિંગમાંથી કૂદ્યા વિદ્યાર્થી અને ડૉક્ટર
હાલ, સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, બિલ્ડિંગમાંથી કૂદવા માટે લોકો એકબીજાની મદદ કરી રહ્યા છે. કપડાની મદદથી તેઓ બિલ્ડિંગમાંથી નીચે કૂદી રહ્યા છે. વળી, બાજુમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ આખો વિસ્તાર ધુમાડાગ્રસ્ત જોવા મળી રહ્યો છે.
ઝાડ પર ચઢી ગયા લોકો
વીડિયોમાં જોઈ શકાય છે કે, અકસ્માતના સમયે કેટલાક લોકો ઝાડ પર ચઢી ગયા છે. ત્યાંથી વિમાનને સળગતા જોઈ શકાય છે. વિમાન દુર્ઘટનાને લઈને આખા વિસ્તારમાં ચીસો સંભળાઈ રહી છે. આસપાસનો આખો વિસ્તાર કાળા ડિબાંગ ધુમાડાગ્રસ્ત છે. અકસ્માતની થોડી સેકન્ડ સુધી તો ત્યાં હાજર વ્યક્તિ કંઈ સમજી જ નહતાં શક્યા કે, આખરે થયું શું?
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ અમદાવાદ વિમાન દુર્ઘટનાનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં એકમાત્ર જીવિત મુસાફર વિશ્વાસ કુમાર રમેશ દુર્ઘટનાસ્થળથી બહાર નીકળતો દેખાય છે. તેની પાછળ હોસ્ટેલની છત પર પડેલું વિમાન સળગતું જોવા મળી રહ્યું હતું.
135 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા
ગુજરાત સરકાર દ્વારા અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે રાહત-બચાવની કામગીરી કરાઈ રહી છે. 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ ક્રેશ થઈ હતી, જેમાં 279 લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટના પછી ડીએનએ સેમ્પલ લઈને મૃતદેહોની ઓળખની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે સિવિલ હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે અત્યાર સુધી 135 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. જ્યારે 101 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું હતું.