અમદાવાદ પ્લેન ક્રેશઃ ભારતે યુએન એવિએશનની તપાસમાં ભાગીદારી આપવાનો પ્રસ્તાવ ફગાવ્યો
Ahmedabad Plane Crash Updates: અમદાવાદમાં 12 જૂનના રોજ બનેલા એર ઈન્ડિયા પ્લેન ક્રેશની તપાસમાં સહયોગ આપવા માટે યુનાઈટેડ નેશન્સ દ્વારા તપાસકર્તાઓને સામેલ કરવાની માગ ભારતે ફગાવી દીધી છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યું છે કે, ભારત યુએનને આ તપાસમાં સામેલ કરવા માગતુ નથી. બીજી તરફ અમુક સિક્યોરિટી એક્સપર્ટ્સે બ્લેક બૉક્સના ડેટાનું વિશ્લેષણ કરવામાં વિલંબની ટીકા પણ કરી છે.
યુએનનો પ્રસ્તાવ ફગાવ્યો
અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ બપોરે 1.40 વાગ્યે બોઈંગ 787-8 ડ્રીમલાઈનર દુર્ઘટનામાં 259 લોકોના મોત થયા હતાં. આ દુર્ઘટના પાછળનું કારણ જાણવા અમેરિકાની તપાસ એજન્સી પણ સહયોગ આપવા ભારત આવી પહોંચી હતી. તપાસમાં સહયોગ આપવા માટે યુનાઈટેડ નેશન્સની વિમાન એજન્સીએ પોતાની તપાસ ટીમ મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ ભારતે તેનો જરૂર ન હોવાનુ કહી ઈનકાર કરી દીધો છે. ભારતે અગાઉ કહ્યું હતું કે, એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો મારફત અમે તમામ ICAO પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છીએ. યુએનની મદદની જરૂર નથી.
આ પણ વાંચોઃ અમદાવાદમાં પહેલી રથયાત્રા ક્યારે નીકળી હતી? જાણો જમાલપુર જગન્નાથ મંદિરનો ઇતિહાસ
ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશને (ICAO) તપાસમાં મદદ કરવા માટે પોતાની ટીમ તૈનાત કરી હતી. ICAOએ ભારતમાં ઉપસ્થિત ટીમને નિરીક્ષકનો દરજ્જો આપવા માટે વિનંતી કરી હતી પરંતુ ભારતીય અધિકારીઓએ આ ઓફરને નકારી કાઢી હતી.
બ્લેક બૉક્સમાંથી ડાઉનલોડ કર્યો ડેટા
ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટીગેશન બ્યૂરો (AAIB)એ પ્લેન ક્રેશની તપાસ મામલે કોઈ ટીપ્પણી આપી નથી. પરંતુ ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગઈકાલે જણાવ્યું હતું કે, તપાસ કરતી ટીમે બે સપ્તાહ બાદ ફ્લાઈટનો રેકોર્ડર ડેટા ડાઉનલોડ કરી લીધો છે. અન્ય સિક્યોરિટી એક્સપર્ટ્સે તપાસમાં થઈ રહેલા વિલંબ પર સવાલો ઉઠાવ્યા છે કે, શું રેકોર્ડર ભારતમાં ડિકોડ થશે કે અમેરિકામાં. અને મોટાભાગની હવાઈ દુર્ઘટનાના કારણો અને પ્રારંભિક રિપોર્ટ દુર્ઘટનાના આશરે 30 દિવસો બાદ જાહેર થઈ જાય છે. પણ આ દુર્ઘટનામાં થઈ રહેલા વિલંબને ધ્યાનમાં લેતાં રિપોર્ટ મુદ્દે મૂંઝવણ ઉભી થઈ છે.