અમદાવાદ પ્લેન ક્રેશ: વડોદરાના કેતનની અંતિમવિધિ કરાઈ, લંડનમાં સુપર સ્ટોર ચલાવતા હતા
Vadodara News : અમદાવાદમાં 12 જૂને સર્જાયેલી વિમાની દુર્ઘટનામાં 270થી વધુ લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે DNA મેચ કરવાની કાર્યવાહી શરૂ છે. જેમાં અત્યારસુધીમાં 202 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા છે અને 158ના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. ત્યારે આ વિમાન દુર્ઘટનામાં વડોદરાના પાદરાના કેતન નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. કેતનના DNA મેચ થતાં તેમના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો અને વડોદરાના વડીવાડી સ્મશાન ખાતે તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. કેતન લંડનમાં સુપર સ્ટોર ચલાવતા હતા.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભર્યાની ગણતરીની સેકન્ડોમાં જ તૂટી પડ્યું હતું. આ વિમાન દુર્ઘટનામાં 270 વ્યક્તિના કરુણ મોત થયા નીપજ્યા હતા. વિમાન દુર્ઘટનામાં મૂળ પાદરાના રહેવાસી અને હાલ ગોત્રી વિસ્તારમાં રહેતા કેતન પણ ભોગ બન્યા હતા.
આ પણ વાંચો: Ahmedabad Plane Crash LIVE : 202 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, 158ના મૃતદેહ સોંપાયા
વડોદરા ખાતે રહેતા પરિવારજનો તથા સ્નેહીજનો સહિત સોસાયટી તથા આસપાસના અન્ય લોકો કેતનની અંતિમયાત્રામાં જોડાયા હતા. મોટી સંખ્યામાં અંતિમયાત્રામાં મિત્ર વર્તુળ સહિત પરિવારજનોની આંખમાંથી આંસુ સુકાતા ન હતા. વાડી ખાતે કેતનની આજે બુધવારે (18 જૂન) સવારે અંતિમવિધિ કરવામાં આવી હતી.