અમદાવાદ પ્લેન ક્રેશઃ 1.38 વાગ્યે આખરે શું થયું હતું? 100થી વધુ ફોનની પણ તપાસ કરાશે
Ahmedabad Plane Crash: અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાની હાલમાં તપાસ ચાલી રહી છે. આ દુર્ઘટના સ્થળ પરથી ફોરેન્સિક અને પોલીસ ટીમને 100થી વધુ મોબાઈલ ફોન મળ્યા છે. જે ખૂબ ખરાબ રીતે બળી ચૂક્યા છે. જોકે, ફોરેન્સિક ટીમ આ ફોન્સમાં સેવ ડેટા (વીડિયો અને ફોટા)ની તપાસ કરવાની તૈયારી કરી રહી છે. તપાસ ટીમ 12 જૂનની બપોરે 1 વાગ્યાને 38 મિનિટ પછીના વીડિયો અને ફોટાની તપાસ કરશે.
તમને જણાવી દઇએ કે પોલીસનો પ્રયાસ છે કે આ મોબાઈલ ફોનમાંથી ઘટનાના અંતિમ ક્ષણોમાં કેદ થયેલા ફોટા અને વીડિયો જોઈ શકાય, જેથી 30 થી 40 સેકન્ડના એ સમયગાળામાં શું થયું તેનો અંદાજ લગાવી શકાય. આ મોબાઈલ ફોનની તપાસ અંગે અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું કે, બપોરે 1 વાગ્યાને 40 મિનિટ પછીનો દરેક ફોટો અને વીડિયો અમારા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: 'અમદાવાદ પ્લેન ક્રેશમાં બચી ગયેલા વિશ્વાસને પાગલખાનામાં નાંખો', ટિપ્પણી બાદ અભિનેત્રીએ માંગી માફી
અમદાવાદ વિમાન અકસ્માતમાં અત્યાર સુધી શું થયું
- બપોરે 1 વાગ્યાને 40 મિનિટે વિમાન દુર્ઘટના સર્જાઇ.
- બપોરે 1 વાગ્યાને 42 મિનિટે પોલીસ કંટ્રોલ રૂમમાં સમાચાર આવ્યા.
- બપોરે 1 વાગ્યાને 44 મિનિટે અમદાવાદના કમિશનરે ગુજરાતના ડીજી અને ગૃહમંત્રીને જાણકારી આપી.
- બપોરે 1 વાગ્યાને 50 મિનિટ સુધીમાં CISF, આર્મી, RAF અને અમદાવાદ પોલીસના જવાનો રાહત કાર્યમાં લાગી ગયા.
- 12 તારીખે રાત્રે 12 વાગ્યા સુધીમાં DNAના 51 સેમ્પલ પહોંચાડી દેવામાં આવ્યા.
- ઘટના સાથે સંકળાયેલા તમામ વીડિયો અને ફોટાની તપાસમાં અત્યાર સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.
વિમાન દુર્ઘટનાના 8 દિવસ બાદ ક્યાં પહોંચી તપાસ
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બોઇંગ 787 વિમાન ક્રેશ થયાને આઠ દિવસ થઈ ગયા છે. વિમાનનું બ્લેક બોક્સ અને કોકપિટ વોઇસ રેકોર્ડર પણ મળી ગયું છે. પરંતુ તેની તપાસમાં સમય લાગી શકે છે. દુર્ઘટના સ્થળેથી મળેલા માનવ અંગોના સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમાંથી 223 DNA સેમ્પલનું મેચિંગ પણ થઈ ચૂક્યું છે.
પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું કે, દુર્ઘટનાના દિવસે એટલે કે 12 જૂને રાત સુધીમાં અમે 51 DNA સેમ્પલ લીધા હતા. તમામ એજન્સીઓએ સાથે મળીને કામ કર્યું, જેથી 13 જૂને ઓળખ થઈ ગયેલા 8 મૃતદેહોને પોલીસે તેમના પરિજનોને સોંપી દીધા હતા.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એક મુસાફર વિશ્વાસકુમારની ઘણી વખત પૂછપરછ કરવામાં આવી છે. પરંતુ પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી કંઈપણ શંકાસ્પદ લાગ્યું નથી. વિશ્વાસકુમારને હાલમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને તેઓ પોતાના ઘરે છે. આ દુર્ઘટનામાં તેમણે પોતાના ભાઈને ગુમાવ્યા છે.