260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન ક્રેશ મામલે એક મહિનામાં આવશે ફાઈનલ તપાસ રિપોર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Plane Crash Report : અમદાવાદમાં થયેલા ભયાનક એર ઈન્ડિયા વિમાન અકસ્માતને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ શુક્રવારે જણાવ્યું હતું કે, આ દુર્ઘટનાનો અંતિમ તપાસ રિપોર્ટ આગામી એક મહિનામાં આવવાની પૂરેપૂરી શક્યતા છે. તપાસ હાલ અંતિમ તબક્કામાં છે અને તેને સંપૂર્ણ પારદર્શિતા સાથે હાથ ધરવામાં આવી રહી છે.
ગિફ્ટ સિટી ખાતે આયોજિત 'ઈન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઈનાન્સિંગ સમિટ 2.0' બાદ પત્રકાર પરિષદમાં મંત્રીએ માહિતી આપી હતી કે, વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (AAIB)ના નેતૃત્વમાં અનેક એજન્સીઓ આ ગંભીર મામલાની તપાસ કરી રહી છે. નાયડુએ ઉમેર્યું કે, તપાસ ચાલુ છે અને તે હવે અંતિમ તબક્કામાં છે. આ એક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ હોવાથી, નિયમ મુજબ કોઈપણ સંબંધિત દેશને આ રિપોર્ટની સમીક્ષા કરવાનો અધિકાર છે. કેન્દ્ર સરકાર તપાસ એજન્સીને તમામ જરૂરી સંસાધનો પૂરા પાડી રહી છે.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 260 લોકોએ ગુમાવ્યા હતા જીવ
નોંધનીય છે કે, આ કરુણ અકસ્માત ગયા વર્ષે 12 જૂનના રોજ સર્જાયો હતો. એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ વિમાન અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રહેણાંક ઈમારતો અને હોસ્ટેલ સંકુલ પર તૂટી પડ્યું હતું.
સત્તાવાર આંકડાઓ અનુસાર, આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર મુસાફરો, ક્રૂ મેમ્બર્સ અને અન્ય લોકો સહિત કુલ 260 લોકોના મોત થયા હતા. વિમાનમાં સવાર 242 લોકોમાંથી માત્ર એક જ મુસાફરનો ચમત્કારિક બચાવ થયો હતો. પ્લેનમાં 230 મુસાફરો, 2 પાયલોટ અને 10 કેબિન ક્રૂ સભ્યો સવાર હતા.
પ્રાથમિક તપાસમાં શું મળ્યું હતું?
પ્રારંભિક તપાસમાં એવા સંકેતો મળ્યા હતા કે ઉડાન ભર્યા બાદ તરત જ વિમાનના એન્જિનનો થ્રસ્ટ ઓછો થઈ ગયો હતો. ત્યારબાદ એન્જિન સિસ્ટમ અને કોકપિટ પ્રોસિજરની ઊંડી તપાસ શરૂ કરવામાં આવી હતી. આ અકસ્માત બાદ દેશમાં કાર્યરત તમામ બોઈંગ 787 વિમાનોની વિશેષ તપાસના આદેશ આપવામાં આવ્યાહતા.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર અસરગ્રસ્ત પરિવારોને વળતર અપાવવાની પ્રક્રિયા પર સતત નજર રાખી રહી છે. એરલાઈનને સૂચના આપવામાં આવી છે કે તેઓ પીડિત પરિવારો સાથે સંકલન સાધીને વળતરની પ્રક્રિયાને પ્રાથમિકતા આપે.









