Get The App

અમદાવાદ પ્લેન ક્રેશ: મૃતકોની ઓળખ માટે સગા-સંબંધીના DNA લેવાશે, સિવિલમાં કરાઈ વ્યવસ્થા

Updated: Jun 12th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદ પ્લેન ક્રેશ: મૃતકોની ઓળખ માટે સગા-સંબંધીના DNA લેવાશે, સિવિલમાં કરાઈ વ્યવસ્થા 1 - image


Ahmedabad AI171 Plane Crash : અમદાવાદમાં આજે એટલે કે 12 જૂને બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત 91થી વધુ લોકોના મોત નીપજ્યા છે. આ બોઈંગ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુ:ખદ નિધન થયું હોવાના અહેવાલો છે. આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાના D.N.A. સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કરાઈ છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બી.જે. મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા કસોટી ભવનમાં મૃતકોના નજીકના સગા–સંબંધીઓ માટે DNA સેમ્પલ આપવાની વ્યવસ્થા કરાઈ છે. આ પ્રક્રિયામાં ખાસ કરીને માતા પિતા કે સંતાનોના ડીએનએ સેમ્પલ લેવાતા હોય છે. જો કે, DNA મેચ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપાશે અને આ રિપોર્ટ આવતા ત્રણ દિવસનો સમય લાગશે. 


અમદાવાદ પ્લેન ક્રેશ: મૃતકોની ઓળખ માટે સગા-સંબંધીના DNA લેવાશે, સિવિલમાં કરાઈ વ્યવસ્થા 2 - image

અમદાવાદ સિવિલ હોસ્પિટલે જાહેર કર્યા બે ફોન નંબર

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટે 6357373831 અને 6357373841 બે ફોન નંબર હોસ્પિટલ તંત્રે જાહેર કર્યા છે. 

આ પણ વાંચો: અમદાવાદ લંડન વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન, નેતાઓ ટ્વિટ કરી વ્યક્ત કર્યું દુ:ખ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા

આ વિમાન દુર્ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતથી અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોની મુલાકાત લઇ તેમના ખબર-અંતર પૂછ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ ગણાવીને ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.

આ ભયાનક અકસ્માત બાદ તેમણે તાત્કાલિક ધોરણે બચાવ અને રાહત કાર્યને વેગ આપવા સૂચના આપી હતી. તેમણે ઈજાગ્રસ્ત મુસાફરોને ઝડપથી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવા માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવા અને હોસ્પિટલોમાં યુદ્ધના ધોરણે તમામ તબીબી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાના પણ નિર્દેશ આપ્યા હતા.

ગુજરાત સરકારે શરૂ કર્યો કંટ્રોલ રૂમ કાર્યરત

ગુજરાત સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.


Tags :