30-30 સેકન્ડમાં એક મૃતદેહ મળ્યો, અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ સિવિલમાં મૃતદેહનો ખડકલો સર્જાયો
Ahmedabad Plane Crash: એમ્બ્યુલન્સની સાયરનોની સતત અવાજ, સ્વજનોના આક્રંદ-ચિત્કાર સિવિલ હોસ્પિટલ પરિસરમાં સંભળાય રહ્યા છે. વર્ષ 2008માં થયેલા બ્લાસ્ટ બાદ સંભવતઃ પ્રથમ એવી ઘટના હતી જ્યારે સિવિલમાં ભડથું થયેલા મૃતદેહના ખડકલા થઇ રહ્યા હતા.
વિમાન ક્રેશ થયું ત્યારે ઘણા ડૉક્ટરો-હોસ્પિટલ સ્ટાફ લંચ કરી રહ્યા હતા તો કેટલાક પોતાની ડયુટી પૂરી કરીને ઘરે જવાની તૈયારી કરતા હતા. અચાનક જ પ્લેન ક્રેશના સમાચાર આવ્યા. જેમાં શરૂઆતમાં મોટાભાગનાને લાગ્યું કે આ કોઈ નાની-સૂની ઘટના હશે. પરંતુ જેમ-જેમ સમય વીતતો ગયો તેમ-તેમ ચિત્ર ભયાવહ થતું ગયું.
30-30 સેકન્ડમાં એક મૃતદેહ મળ્યો
સિવિલ હોસ્પિટલમાં ભડથું થયેલા મૃતદેહનો ખડકલો થતો ગયો. કલાકો સુધી સ્થિતિ એવી સર્જાઈ કે, એક પછી એક એમ્બ્યુલન્સમાં મૃતદેહ આવતા ગયા. આ મૃતદેહ પણ સંપૂર્ણપણે ભડથું થઈ ગયા હતા. એટલું જ નહીં કોઈ મૃતદેહના હાથ તો કોઇના પગ જૂદા પડી ગયા હતા. મૃતદેહને તાકીદે પોસ્ટમોર્ટમ રૂમમાં લાવવાનું શરૂ કરી દેવાયું હતું.
સ્વજનોની ઓળખ તો દૂર છેલ્લી વખત તેમનો ચહેરો પણ જોઇ શકાયો નહોતો
સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં એકસાથે 240થી વધુ મૃતદેહ આવી ગયા હતા. આ મૃતદેહ જોઈ પણ શકાય નહીં તેવી સ્થિતિમાં હતા. પરંતુ સ્થાનિકો-સેવાભાવી લોકો કોઈ પરવા કર્યા વિના એમ્બ્યુલન્સના લોકોની મદદ કરવા લાગ્યા. સમાચાર મળતાં સ્વજનોએ સિવિલ હોસ્પિટલ તરફ દોટ મૂકી. પરંતુ મૃતદેહની જે પ્રકારની હાલત થઈ ગઈ હતી તેનાથી સ્વજનોની ઓળખ તો દૂર છેલ્લી વખત તેમનો ચહેરો પણ જોઇ શકાયો નહોતો.