અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયાને ત્રણ કર્મચારીઓની ટ્રાન્સફરનો આદેશ
- એર ઈન્ડિયાના કર્મચારીઓ સામે ડીજીસીએની કાર્યવાહી
- એવિએશન સેફ્ટી પ્રોટોકોલના ગંભીર ભંગ બદલ કાર્યવાહી, 10 દિવસમાં રિપોર્ટ આપવા એર ઈન્ડિયાને ડીજીસીએનો નિર્દેશ
નવી દિલ્હી : અમદાવાદમાં ૧૨ જૂને વિમાન અકસ્માતના ૧૦ દિવસ બાદ શનિવારે ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને એર ઈન્ડિયા વિરુદ્ધ આકરી કાર્યવાહી કરતા ક્રૂ શેડયુલિંગ વિભાગના ત્રણ વરિષ્ઠ અધિકારીઓની તાત્કાલિક ટ્રાન્સફર કરવા આદેશ આપ્યો છે. આ કાર્યવાહી એવિએશન સેફ્ટી પ્રોટોકોલના ગંભીર ભંગ બદલ કરાઈ છે. વધુમાં ૧૦ દિવસમાં આ કાર્યવાહી અંગે રિપોર્ટ આપવા જણાવાયું છે.
ડીજીસીએએ તરફથી ૨૦ જૂને એર ઈન્ડિયાને અપાયેલા આદેશમાં જણાવાયું હતું કે, ડિવિઝનલ વાઈસ પ્રેસિડેન્ટ ચૂરહા સિંહ, ક્રૂ શેડયુલિંગનાં ચીફ મેનેજર પિંકી મિત્તલ અને ક્રૂ શેડયુલિંગ આયોજન વિભાગના પાયલ અરોરાએ ગંભીર બેદરકારી દાખવી હતી. ડીજીસીએએ સ્પષ્ટ કર્યું કે, આ અધિકારીઓને ક્રૂ શેડયુલિંગની જવાબદારીથી તાત્કાલિક હટાવવામાં આવે. એવિએશન સેફ્ટી પ્રોટોકોલના ગંભીર ભંગ બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ડીજીસીએએ કહ્યું કે, આ અધિકારીઓએ અનધિકૃત અને નિયમો વિરુદ્ધ ક્રૂની તૈનાતી કરી, લાઈસન્સિંગ અને ક્રૂના વિશ્રામ સંબંધિત નિયમોનો ભંગ કર્યો અને નિરીક્ષણ વ્યવસ્થામાં વ્યાપક ખામીઓમાં સામેલ છે. સાથે જ એર ઈન્ડિયાને આ અધિકારીઓ વિરુદ્ધ શિસ્તભંગની આંતરિક કાર્યવાહી શરૂ કરવા અને ૧૦ દિવસની અંદર તેનો રિપોર્ટ ડીજીસીએને સોંપવા આદેશ આપ્યો છે.
ડીજીસીએના આદેશમાં કહેવાયું છે કે આ અધિકારીઓને શેડયુલિંગમાં સુધારો થાય ત્યાં સુધી બિન-પરિચાલન ભૂમિકાઓમાં ટ્રાન્સફર કરવામાં આવે અને તેઓ આગામી આદેશ આવે નહીં ત્યાં સુધી ઉડ્ડયન સુરક્ષા અને ક્રૂ અનુપાલન પર સીધી અસર કરતી કોઈપણ જવાબદારી સંભાળી શકશે નહીં.
ડીજીસીએએ આ કાર્યવાહીથી સ્પષ્ટ કર્યું છે કે ઉડ્ડયન સુરક્ષા અને નિયમોના પાલન અંગે કોઈપણ સમજૂતી નહીં કરવામાં આવે. એર ઈન્ડિયાને નિર્દેશ અપાયો છે કે તે શેડયુલિંગ પ્રક્રિયામાં સુધારા સુનિશ્ચિત કરે, જેથી ભવિષ્યમાં આવી ભૂલ ફરી ના થાય. આ પગલું માત્ર એર ઈન્ડિયાની કાર્યવાહીને પારદર્શી બનાવવા જ નહીં પરંતુ પ્રવાસીઓની સુરક્ષાને પ્રાથમિક્તા આપવાનો પણ સંદેશ આપે છે.
દરમિયાન એર ઈન્ડિયાના સીઈઓ અને એમડી કેમ્પબેલ વિલ્સને ખાતરી આપી કે એરલાઈનનો બોઈંગ ૭૮૭ વિમાનોનો કાફલો વ્યાપક તપાસના પગલે સંચાલન માટે સુરક્ષિત છે. અમદાવાદમાં એઆઈ-૧૭૧ દુર્ઘટના થયા પછી બોઈંગ ૭૮૭ વિમાનોની સુરક્ષા અંગે સવાલો ઉઠવા લાગ્યા છે. વિલ્સને કહ્યું કે, ડીજીસીએની વિનંતીના પગલે એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ વિમાનોની વધારાની સુરક્ષા તપાસ કરવામાં આવી રહી છે.