અમદાવાદ વિમાન દુર્ઘટનામાં કેટલા લોકોના થયા મોત? રાજ્ય સરકારે સત્તાવાર આંકડા કર્યા જાહેર
Air India Plane Crash: ગત 12 જૂનના રોજ લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભર્યાના તુરંત બાદ હોસ્ટેલ પર ક્રેશ થઈ ગઈ હતી. અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોની સત્તાવાર યાદી સામે આવી ચૂકી છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, વિમાનમાં સવાર 241 લોકોના દુર્ઘટનામાં મોત થયા હતા. જ્યારે 34 અન્ય લોકોના મોત થયા હતા. આમ, કુલ 275 લોકોના મોત થયા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતકોમાં 120 પુરૂષ, 124 મહિલાઓ અને 16 બાળકો સામેલ છે. હોસ્પિટલમાં DNA તપાસથી 259 મૃતકોની ઓળખ કરાઈ ચૂકી છે. જેમાંથી 256 મૃતદેહો પરિવારજનોને સોંપાયા છે. 3 બ્રિટિશ નાગરિકોના મૃતદેહ વિમાનથી મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે.
હોસ્પિટલમાં જે 259 મૃતકોની ઓળખ થઈ છે, જેમાં 199 ભારતીય, 7 પોર્ટુગલ, 52 બ્રિટિશ અને 1 કેનેડિયન નાગરિક સામેલ છે. જ્યારે બાકીના મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. DNA સેમ્પલ મેળવવાની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોય છે, જેમાં અનેક કાયદાકીય પાસા પણ સામેલ હોય છે. એટલા માટે આ કામગીરી ખુબ જ ગંભીરતા, સચોટતા અને ઉતાવળે કરવામાં આવે છે.
અમદાવાદમાં ક્રેશ થયેલા પ્લેનના બ્લેકબોક્સની તપાસ ભારતમાં જ ચાલુ
આ મહિનાની શરૂઆતમાં અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના પ્લેનના બ્લેક બોક્સની ભારતમાં જ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઇબી) દ્વારા તપાસવામાં આવી રહી છે. આજે ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ આ અંગે માહિતી આપી હતી. આ સાથે જ નાયડુએ એવી અટકળોને ફગાવી દીધી હતી કે તેને તપાસ માટે વિદેશ મોકલવામાં આવ્યું છે. બ્લેક બોક્સ એક નાનું ઉપકરણ છે જે ઉડાન દરમિયાન વિમાન વિશેની માહિતી રેકોર્ડ કરે છે. અને ઉડ્ડયન અકસ્માતોની તપાસમાં મદદ કરે છે.
શું બની હતી ઘટના?
અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફલાઇટ 12 જૂને બપોરે સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમયમાં જ ક્રેશ થઇ ગઇ હતી. ફ્લાઈટ અમદાવાદ શહેરના મેઘાણીનગર આઇજીપી કંપાઉન્ડમાં આવેલી મેસ અને મેડિકલ હોસ્ટેલ પર પ્લેન ક્રેશ થઈ હતી. જે દુર્ઘટનામાં 241 લોકો સહિત 275 લોકો માર્યા ગયા હતા. જ્યારે એક મુસાફરનો ચમત્કારિક બચાવ થયો હતો.