Ahmedabad Plane Crash : 140 ડૉક્ટરોએ 12 કલાકમાં તમામ પોસ્ટમોર્ટમ કર્યા, 3 સિવાય તમામ મૃતદેહ સળગેલા હતા
Ahmedabad Plane Crash : અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં 270થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતાં. દુર્ઘટના સ્થળેથી એક પછી એક મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લવાયા હતાં. પીએમ રૂમમાં જોવા મળ્યું કે, વિમાનના પાયલટ સુમિત સબરવાલ, કો-પાયલટ ક્લાઈવ કુંદર, એક એરહોસ્ટેસ સિવાય બાકીના બધાય મૃતદેહો સળગેલી અવસ્થામાં હતાં. આ બધાયનું ઝડપી રીતે પોસ્ટમોર્ટમ કરવું એ પડકારરુપ હતું, તેમ છતાંય 140 સરકારી ડૉક્ટરોની ટીમે માત્ર સાડા બાર કલાકમાં જ આ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરી જટીલ પ્રક્રિયા પૂર્ણ કરી હતી.
3 સિવાય તમામ મૃતદેહ સળગેલા હતા
તા.12મી જૂને ભરબપોરે વિમાન દુર્ઘટના થયા બાદ મૃતદેહોને સિવિલ હોસ્પિટલ લવાયા હતા જ્યાં એર ઈન્ડિયાના અધિકારીઓએ પાયલટ સુમિત સબરવાલ, કો-પાયલટ ક્લાઈવ કુંદરના મૃતદેહને ઓળખ્યો હતો. આ ઉપરાંત એક એર હોસ્ટેસની પણ ઓળખ થઈ હતી.
ગર્ભવતી મહિલાના પોસ્ટમોર્ટમ વખતે ડૉક્ટરોના હૃદય દ્રવી ઉઠયા
વિમાન દુર્ઘટનામાં હોસ્ટેલના મેસમા મૃત્યુ પામેલાં સિવિલના આઠ ડૉક્ટરોના મૃતદેહો પણ તરત જ ઓળખાયા હતાં. બાકીના મૃતદેહો કોના છે તે ઓળખવુ મુશકેલ બન્યુ હતુ. એવુ પણ જાણવા મળ્યું કે, વિમાન દુર્ઘટનામાં એક ગર્ભવતી મહિલાનું પણ મોત નિપજ્યુ હતું જેના પોસ્ટમોર્ટમ વખતે ડૉક્ટરોના હૃદય પણ દ્રવી ઉઠયા હતાં.
એક સાથે 200થી વધુ મૃતહેદોના પોસ્ટમોર્ટમ કરવા એ સહેલુ ન હતુ
18,000થી વધુ પોસ્ટમોર્ટમ કરનારા ડૉ. મહેશ કાપડિયાએ ભાવુકતા સાથે જણાવ્યું કે, 'પીએમ રૂમમાં મોટાભાગના મૃતદેશો સળગેલી અવસ્થામાં હતાં. એક સાથે 200થી વધુ મૃતહેદોના પોસ્ટમોર્ટમ કરવા એ સહેલુ ન હતુ. એક પડકારજનક કામ હતું. પરિણામે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના સરકારી ડૉક્ટરો તાત્કાલિક બોલાવાયા હતાં.'
40 ડૉક્ટરોએ માત્ર સાડા બાર કલાકમાં મોટાભાગના મૃતદેહોના પોસ્ટમોર્ટમ કર્યા
દુર્ઘટનાના દિવસે જ સાંજે 4:30 વાગ્યે પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જે બીજા દિવસે સવારે પાંચ વાગ્યા સુધી અવિરતપણે ચાલી હતી. 140 ડૉક્ટરોએ માત્ર સાડા બાર કલાકમાં મોટાભાગના મૃતદેહોના પોસ્ટમોર્ટમ પૂર્ણ કર્યા હતાં. આઠ-દસ મૃતદેહો એવા હતા જેમાં ડીએનએ સૈમ્પલની જરૂરિયાત ન હતી.
એક ડૉક્ટરે ઓછામાં ઓછા ત્રણ-ચાર મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કર્યું
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ, કોવિડ મહામારી, લઠ્ઠાકાંડમાં પણ ડૉ. કાપડિયાએ પોસ્ટમોર્ટમની ઉતકૃષ્ઠ કામગીરી કરી છે. તેમના વખતમાં જ સિવિલમાં પોસ્ટમોર્ટમ રૂમને નવો ઓપ અપાયો હતો. તેમનું કહેવું હતું કે, 'સિવિલમાં ટ્રોમા સેન્ટર ઉપરાંત અન્ય બે પીએમ રુમ એમ એક સાથે ત્રણ સ્થળોએ પોસ્ટમોર્ટમ કરાયા હતાં જેથી માત્ર સાડા બાર કલાકમાં 274 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ શક્ય બન્યુ હતું. એક ડૉક્ટરે ઓછામાં ઓછા ત્રણ-ચાર મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. ગણતરીના કલાકોમાં પોસ્ટમોર્ટમની જટિલ પ્રક્રિયા પૂર્ણ કરીને સરકારી ડૉક્ટરોએ માનવતા અને સેવા પરાયણતાનો એક નવો અધ્યાય લખ્યો છે.'
આ પણ વાંચો: Ahmedabad Plane Crash : દીકરાનો મૃતદેહ તો મળ્યો પણ પીડિત પરિવારને વળતર ન મળ્યું
મૃતદેહોના દાંત, થાપાનુ હાડકું, વાળના મૂળિયા, માંસપેશીમાંથી ડીએનએ લેવાયાં
વિમાન દુર્ઘટનામાં મોટાભાગના મૃતદેહો સળગેલી અવસ્થામાં છે પરિણામે ઓળખ કરવી મુશ્કેલ બની, ત્યારે ડીએનએ મેચિંગ અને પ્રોફાઇલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. ડૉક્ટરોનું કહેવુ છેકે, મૃતદેહના દાંત, થાપાના હાડકા, વાળના મૂળિયા અને માંસપેશીમાંથી ડીએનએ સેમ્પલ લેવાયા હતાં. તે આધારે મૃતદેહોની ઓળખ શક્ય બની હતી.
સિરિયલ બોમ્બ બ્લાસ્ટ વખતે 134 મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરતાં 36 કલાક લાગ્યાં હતાં
અમદાવાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ વખતે પણ સિવિલ હોસ્પિટલમાં 134 મૃતદેહોને લવાયા હતાં. તે વખતે બધા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરતાં 36 કલાકનો સમય લાગ્યો હતો. લઠ્ઠાકાંડ વખતે પણ આ જ સિવિલ હોસ્પિટલમાં 54 મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરાયા હતાં. આમ, સરકારી તબીબોએ કોઇ પણ આકસ્મિક ઘટનામાં અવિરતપણે કામ કરીને ફરજ અદા કરી છે.