અમદાવાદ પ્લેન ક્રેશમાં મુસાફરો સિવાયના 11 મૃતક કોણ? પોલીસને હજુ 2 જ લાપતા હોવાની ફરિયાદ મળી
Ahmedabad Plane Crash : અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ કેમ્પસમાં વિમાન દુર્ઘટનામાં 11 મૃતકો કોણ? તેવો સૌથી મોટો સવાલ તંત્ર સામે આવીને ઉભો છે. સામાન્ય રીતે કુલ મૃત્યુ આંક 278 નહીં પણ 270 હોવાનું જાહેર થયું છે. આ પૈકીના કુલ 259 લોકોની ઓળખ થઈ ચૂકી છે. પરંતુ, જેમની ઓળખ થઈ શકી નથી તેવા 11 લોકો બી. કે. કેમ્પસમાં આવેલા બહારના લોકો હોવાની મજબૂત આશંકા છે. પોલીસે જો કોઈને સ્વજનો લાપતા હોય તો જાણ કરવા અપીલ કરી છે. જો કે, હાલ સુધીમાં બે લોકો લાપતા હોવાની અરજી જ પોલીસને મળી છે. બીજી તરફ, તંત્રએ 11 મૃતકોની ઓળખ મેળવવા માટે સ્થાનિકોની પણ મદદ મેળવવા કાર્યવાહી આરંભી છે.
બી.જે. કેમ્પસમાં આવેલા લોકો ભોગ બન્યાની શંકા: સ્થાનિકોની મદદ લેવાઈ
અમદાવાદ એરપોર્ટથી લંડન જવા માટે ઉડાન ભરી તેની એક જ મિનિટમાં એરઈન્ડિયાની ફ્લાઈટ તૂટી પડતાં 270 લોકોના મૃત્યુ નિપજ્યાં હોવાનું સાાવાર રીતે જાહેર થયું છે. 12 જૂને સર્જાયેલી દુર્ઘટનામાં કુલ 229 મુસાફર અને 12 ક્રુ મેમ્બર મળી વિમાનમાં 241 લોકોના મૃત્યુ નિપજ્યાં હતાં. આ ઉપરાંત બી.જે. મેડિકલ કેમ્પસના બિલ્ડીંગ કે મેદાનમાં મૃત્યુ નિપજ્યાં છે. બી. જે. મેડિકલની મેસ અને હોસ્ટેલ બિલ્ડીંગમાં પાચં લોકોના મૃત્યુ નિપજ્યાં હતાં.બાકીના 24 લોકોના બી.જે. કેમ્પસના મેદાનમાં મૃત્યુ નિપજ્યા તેમાંથી ઈજા થવાથી મૃત્યુ પામેલા આઠ અને દાઝી જવાથી મૃત્યુ પામેલા પાંચ લોકોના મૃતદેહો તેમના સ્વજનોને સોંપી દેવાયા છે.
આ પણ વાંચો: Ahmedabad Plane Crash LIVE : 184 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, પરિજનોને સોંપાશે મૃતદેહ
કમનસીબી એ છે કે, દુર્ઘટનાના પાંચ દિવસ પછી પણ 11 મૃતકો કોણ છે? તે જાણી શકાયું નથી. બી.જે. મેડિકલ હોસ્ટેલ-મેસ કેમ્પસમાં આ 11 લોકો બહારથી કોઈને કોઈ કામસર આવ્યાં હશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ સંજોગોમાં 11 અજાણ્યા મૃતકોની ભાળ મેળવવાની કામગીરી અમદાવાદ પોલીસને આરંભી છે. બે લોકો લાપતા હોવાની અરજી મેઘાણીનગર પોલીસને મળતાં આ બે વ્યક્તિ 11 પૈકીની છે કે કેમ? તેની ડીએનએ આધારિત તપાસ કરવા ચક્રો ગતિમાન કરાયાં છે.
ઝોન-4 ડીસીપી ડો. કાનન દેસાઈએ જણાવ્યું કે, અમુક મૃતકોની કોઈ ઓળખ મળી ન હોવાથી જો કોઈ લાપતા હોય તો પોલીસને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં બે લોકો લાપતા હોવાની અરજી પોલીસને મળી છે. શક્ય છે કે, આ કેમ્પસમાં અમદાવાદ શહેરના દૂરના વિસ્તારમાંથી કે અમદાવાદ કે રાજ્ય બહારના વ્યક્તિઓ આવ્યાં હોય અને દુર્ઘટનાનો ભોગ બન્યાં હોય. આથી, દુર્ઘટનાના દિવસ એટલે કે તા. 12ના રોજ કોઈ વ્યક્તિ લાપતા બની હોય તેની નોંધ ક્યાય પણ થઈ હોય તે દિશામાં તપાસ કરવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું કે, 12 જૂનના રોજ દુર્ઘટના બની હોય તે અરસામાં પોતાના લાપતા સ્વજન અમદાવાદના મેઘાણીનગર બી જે મેડિકલ કેમ્પસ આવ્યાની જાણકારી મળે તો સ્થાનિક પોલીસને પણ જાણ કરી શકાય છે. બીજી તરફ, ભાળ નથી મળી તેવા 11 લોકો સ્થાનિક હોય તેવી સંભાવનાને ઘ્યાન લઈને સ્થાનિકોની મદદ લેવામાં આવી છે. મજૂરી કરનારાં કે પડ્યા, પાથર્યા રહેતાં ગરીબો કે કોઈ રાહદારી કે જે બપોરના સમયે આરામ કરવા આવ્યાં હોય તે ભોગ બન્યાંની સંભાવનાએ સ્થાનિક ધારાસભ્ય, આગેવાનો અને કાર્યકરોને લાપતા વ્યક્તિ અંગે જાણકારી મળે તો પ્રાથમિક વિગતો તપાસી પોલીસને જાણ કરવા અપીલ કરાઈ નથી.