પૂર્વ IAS પ્રદીપ શર્માને મોટો ઝટકો, મની લોન્ડ્રિંગ કેસમાં અમદાવાદની વિશેષ ED કોર્ટે 5 વર્ષની સજા ફટકારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

former ias pradeep sharma case: ગુજરાતના રાજકારણ અને વહીવટીતંત્રમાં ચકચાર મચાવનારા વેલસ્પન ગ્રુપની કંપનીને ગેરકાયદે જમીન વેચવાના કેસમાં નિવૃત્ત IAS અધિકારી પ્રદીપ શર્માને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. અમદાવાદની વિશેષ ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) કોર્ટે તેમને દોષિત જાહેર કરીને પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે પ્રદીપ શર્મા હાલમાં જે કેસમાં સજા ભોગવી રહ્યા છે, તેનાથી આ સજા અલગથી ભોગવવાની રહેશે. તેમજ ટાંચમાં લીધેલી પ્રોપર્ટી સરકાર હસ્તક જ રહેશે.
શું છે સમગ્ર કેસ?
આ કેસ પ્રદીપ શર્મા જ્યારે કચ્છ જિલ્લાના કલેક્ટર હતા, તે સમયનો છે. તત્કાલીન કચ્છ કલેક્ટર પ્રદીપ શર્મા પર આરોપ હતો કે તેમણે વેલસ્પન ગ્રુપની કંપનીને નિયમો વિરુદ્ધ જઈને સસ્તા ભાવે જમીન આપી હતી. આ સોદાથી રાજ્ય સરકારને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. ભ્રષ્ટાચાર દ્વારા મેળવેલા કરોડો રૂપિયા તેમણે અમેરિકામાં રહેતા પુત્ર અને પુત્રીના બેંક ખાતાઓમાં મોકલ્યા હતા. આ મામલે રાજકોટ CID ક્રાઇમ પોલીસ મથકમાં વર્ષ 2010માં ફરિયાદ નોંધાઈ હતી.
EDની કાર્યવાહી:
આર્થિક ગેરરીતિ બદલ ED દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે આવેલી વિશેષ PMLA (પ્રિવેન્શન ઑફ મની લૉન્ડ્રિંગ એક્ટ) કોર્ટમાં વર્ષ 2016માં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ જ કેસમાં તેમને હવે સજા સંભળાવવામાં આવી છે.
કોણ છે IAS અધિકારી પ્રદીપ શર્મા?
પ્રદીપ શર્મા ગુજરાત વહીવટી સેવામાં હતા. રસાયણશાસ્ત્રમાં સ્નાતક થયા બાદ તેમણે ગુજરાત વહીવટી સેવામાં પરીક્ષા પાસ કરી હતી અને 1981માં ડેપ્યુટી કલેક્ટર તરીકે નિમણૂક મેળવી હતી. વર્ષ 1999માં તેમને IAS અધિકારી તરીકે પ્રમોશન મળ્યું હતું. તેમણે જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર તરીકે સેવા આપી હતી. ત્યારબાદ તેઓ રાજકોટ અને કચ્છ જિલ્લાના કલેક્ટર બન્યા હતા.








