અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભગવાન જગન્નાથજી સહીત ત્રણ રથનું ભાવપૂર્વક પૂજન,સન્માન કરાયું
દીલીપદાસજીને ૬ કિ.ગ્રા.ની ભગવાન શ્રીકૃષ્ણની બ્રાસની મૂર્તિ મેયરે આપી
અમદાવાદ,શુક્રવાર,27 જુન,2025
શુક્રવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાંગણમાં
ભગવાન જગન્નાથ, બહેન
સુભદ્રાજી અને ભાઈ બલરામના ત્રણે રથનુ ભાવપૂર્વક પૂજન અને સન્માન કરાયુ હતુ.
શહેરના મેયર પ્રતિભા જૈન દ્વારા મંદિરના મહંત દીલીપદાસજી મહારાજને ભગવાન
શ્રીકૃષ્ણની ૬ કિલોગ્રામ બ્રાસની ૧૮ ઈંચ ઉંચી મૂર્તિ અર્પણ કરી હતી.મ્યુનિસિપલ
કમિશનર બંછાનિધિ પાનીએ ભગવાનના ત્રણે રથ ઉપર માથુ ટેકાવી આશિર્વાદ માંગ્યા હતા.
જમાલપુર ખાતેના નીજ મંદિરેથી નીકળેલી ૧૪૮મી રથયાત્રા
દરમિયાન મહંત દિલીપદાસજી શુક્રવારે સવારે ૯.૩૦ કલાકે મ્યુનિસિપલ કોર્પોરેશનના
પ્રાંગણમાં ભગવાનના સ્વાગત માટે બનાવાયેલા સામિયાણા ખાતે પહોંચ્યા હતા. જયાં મેયર
ઉપરાંત ડેપ્યુટી મેયર જતીન પટેલ,
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગદાણી સહીતના પદાધિકારીઓ, વિવિધ કમિટીના
ચેરમેન,ડેપ્યુટી
ચેરમેન અને કોર્પોરેટરો દ્વારા તેમનુ સન્માન કરી આશિર્વાદ મેળવવામા આવ્યા
હતા.મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા ભગવાનને વિશેષ પ્રસાદ પણ અર્પણ
કરાયો હતો. મ્યુનિસિપલ સેક્રેટરી ઉપરાંત
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો અન્ય અધિકારીઓએ
સાથે મોટી સંખ્યામા ભાવિકો ભગવાનના દર્શન કરવા હાજર રહયા હતા.
ખાડીયાના બનાવના કારણે રથ કોર્પોરેશન દોઢ કલાક મોડા
પહોંચ્યા
દર વર્ષની પરંપરા મુજબ, નીજ મંદિરથી ભગવાનના ત્રણ રથ નીકળે એ પછી સવારના દસ કલાકની આસપાસ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે
પહોંચતા હોય છે. શુક્રવારે સવારે ખાડીયા વિસ્તારમાં ત્રણ હાથી બેકાબૂ બનતા આ બાબતની
ગંભીરતાને ધ્યાનમા રાખી ત્રણે રથ ધીમી ગતિથી હંકારવામા આવ્યા હતા. આ કારણથી અગાઉના
વર્ષોમાં જે ત્રણ રથ કોર્પોરેશન ખાતે સવારે ૧૦ કલાકે પહોંચતા હતા તેના બદલે આ વખતે
સવારે ૧૧.૩૦ કલાકે પહોંચ્યા હતા.