Get The App

અમદાવાદ: મેમનગરના સામ્રાજ્ય ફ્લેટમાં વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઈ

Updated: Apr 22nd, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: મેમનગરના સામ્રાજ્ય ફ્લેટમાં વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઈ 1 - image

Ahmedabad News: શહેરના મેમનગર વિસ્તારમાં આજે વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલા સામ્રાજ્ય ફ્લેટના પાર્કિંગમાંથી એક વૃદ્ધનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકના માથાના ભાગે ગંભીર ઈજાના નિશાન હોવાથી પોલીસે હત્યાની આશંકા સાથે તપાસ તેજ કરી છે.

30 વર્ષથી સોસાયટીમાં કરતા હતા સેવા

મૃતકની ઓળખ કાનજીભાઈ તરીકે થઈ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કાનજીભાઈ છેલ્લા 30 વર્ષથી આ જ ફ્લેટમાં રહેતા હતા. તેઓ રહીશોના વાહનો સાફ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. કાનજીભાઈ એટલા વર્ષોથી અહીં હળીમળી ગયા હતા કે તેઓ પોતાના પરિવાર સાથે જવા પણ તૈયાર નહોતા.

આ પણ વાંચો : સુરતમાં ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં લોકોએ નેતાઓને ધક્કા મારી કાઢી મૂક્યા, પોલીસ બોલાવવી પડી

સવારે પોણા છ વાગ્યે ભયાનક દ્રશ્ય સામે આવ્યું

ઘટનાની વિગતો મુજબ, આજે સવારે પોણા છ વાગ્યે સોસાયટીના એક રહીશને આ અંગે જાણ થઈ હતી. તેમણે નીચે આવીને જોયું તો કાનજીભાઈ લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. તુરંત જ સોસાયટીના ચેરમેન અને પોલીસને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા કાનજીભાઈને મૃત જાહેર કર્યા હતા.

અકસ્માત કે આયોજનબદ્ધ હત્યા?

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે પ્રાથમિક તપાસમાં નીચે મુજબની વિગતો નોંધી છે. મૃતકના માથાના ભાગે તીક્ષ્ણ અથવા ભારે હથિયારથી ઈજા થઈ હોય તેવા નિશાન છે. પાર્કિંગમાં લોહીના ડાઘા જોવા મળ્યા છે, જે કોઈ સંઘર્ષ તરફ ઈશારો કરે છે. કોઈ અજાણ્યા શખ્સે અંગત અદાવત કે અન્ય કારણોસર તેમની હત્યા કરી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. પોલીસે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને સોસાયટીના CCTV ફૂટેજ તપાસવાની કાર્યવાહી શરૂ કરી છે. આ મોત પાછળનું સાચું કારણ ટૂંક સમયમાં બહાર આવે તેવી શક્યતા છે.

પોલીસ તપાસમાં ખુલાસો

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, બાજુના બ્લોકમાં રહેતા ઋત્વીક વિનયભાઇ જયમલાણી નામના વ્યક્તિ સાથે ભૂતકાળમાં બોલાચાલી થઈ હતી. જેનો ખાર રાખીને તેણે હત્યા કરી હતી. મૃતક કાનજીભાઈ બાજુના 'એચ' બ્લોકમાં રહેતા હતા. તેઓ કોમન બાથરૂમ વાપરતા હોવાથી અને દરવાજો વારંવાર ખુલ્લો મૂકી દેતા હોવાથી સામેના ફ્લેટમાં સતત દુર્ગંધ આવ્યા કરતી હતી. જે અંગે વારંવાર ટકોર કરવા છતાં પણ કાનજીભાઇ ધ્યાન આપતા નહોતા. આ ઉપરાંત, તેઓ બાથરૂમમાં ઊભા રહીને વારંવાર બિભત્સ હરકતો પણ કરતા હોવાનો દાવો ઋત્વીક તથા તેના પરિવારે કર્યો છે. આ બાબતે અગાઉ પણ બોલાચાલી થઈ હતી, જેનો ખાર રાખીને ઋત્વીકે જ બોથડ પદાર્થનો ઘા મારી કાનજીભાઇની હત્યા કરી હતી.