અમદાવાદ: ગોમતીપુરમાં વિદેશી ચલણ બદલવાના વિવાદમાં 47 વર્ષીય વ્યક્તિ પર જીવલેણ હુમલો, આરોપી ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં વિદેશી ચલણ બદલાવવાના મામલે થયેલા વિવાદમાં 47 વર્ષીય વ્યક્તિ પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
ગોમતીપુર પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 13 એપ્રિલની રાત્રે બની હતી. રાજપુર વિસ્તારમાં રહેતા ભરતભાઈ જીવણભાઈ પર આકાશ મકવાણા નામના શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. ગોમતીપુર પોલીસે આ મામલે હુમલાનો ગુનો નોંધી ફરાર આરોપી આકાશ મકવાણાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ફરિયાદી ભરતભાઈએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી વિદેશી ચલણ બદલાવવા બાબતે આકાશ તેમની પર સતત દબાણ કરી રહ્યો હતો. સોમવારે રાત્રે આશરે 9 વાગ્યે જ્યારે ભરતભાઈ આકાશના કાકાને મળવા ગયા હતા, ત્યારે આકાશે તેમને ફરી આ મુદ્દે આંતર્યા હતા.
હુમલાનો પ્રયાસ અને ઈજા
પોલીસના જણાવ્યા મુજબ, આકાશે ભરતભાઈ સાથે ગાળાગાળી કરી હતી અને પૂછ્યું હતું કે તેઓ કરન્સી એક્સચેન્જ બાબતે જવાબ કેમ નથી આપતા. જ્યારે ભરતભાઈએ તેમને શાંત રહેવા કહ્યું, ત્યારે ઉશ્કેરાયેલા આકાશે ઘરમાંથી તીક્ષ્ણ હથિયાર લાવી હુમલો કર્યો હતો. આરોપીએ ગંભીર ઈજા પહોંચાડવાના ઈરાદે હુમલો કર્યો હતો, અમે તેને શોધવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ.
બચવા માટે ખસી જતી વખતે ભરતભાઈને શરીરના ડાબા ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકો અને પરિવારજનો દોડી આવતા હુમલાખોર આકાશ ત્યાંથી નાસી છૂટ્યો હતો.
ઈજાગ્રસ્ત ભરતભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર છે અને તેઓ ભયમુક્ત હોવાનું જાણવા મળ્યું છે.








