અમદાવાદના જ્વેલર પાસેથી પત્રકારે રૂ. 10 લાખ માંગ્યાનો આરોપ, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| AI IMAGE |
Ahmedabad Extortion Case: અમદાવાદના મીડિયા જગતમાં હડકંપ મચાવે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં જાણીતા ગુજરાતી ડિજિટલ ન્યૂઝ વેબસાઇટના એક પત્રકાર સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં રૂ.10 લાખની ખંડણી માગી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પત્રકાર દિર્ધાયુ વ્યાસ પર આરોપ છે કે તેમણે જ્વેલર્સના એક ગ્રુપ પાસેથી તેમની સામે ચાલી રહેલી પોલીસ તપાસ 'પતાવવા'ના નામે રૂ.10 લાખની માંગણી કરી હતી, અને બાદમાં વધુ પૈસા ન આપવા બદલ GSTના દરોડા અને બદનામી કરવાની ધમકી આપી હતી.
શું છે સમગ્ર મામલો?
મણિનગરના રહેવાસી અને રતનપોળ સ્થિત સહજાનંદ કોમ્પ્લેક્સમાં સોનાના દાગીનાનો વર્કશોપ ચલાવતા જ્વેલર પરેશ નગીનદાસ સોની (ઉં. 49) એ ગુરુવારે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર સોની અને તેમના ભાગીદારો કમલેશ ઉર્ફે કમલ કેશવજી જાદવ અને ગુલઝારભાઈએ દાગીના બનાવવાનો ઓર્ડર આપ્યો હતો જે અન્ય વેપારીઓ સાથેના વિવાદમાં ફેરવાયો હતો. આ મામલો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચ્યો હતો, જ્યાં ભાગીદારોને પ્રાથમિક પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.
વચેટિયા તરીકે વકીલની ભૂમિકા
સોનીના જણાવ્યા અનુસાર આ તબક્કે તેમને સ્થાનિક વેપારી વર્તુળોમાં જાણીતા વકીલ ઇલ્યાસભાઈ પઠાણ સાથે પરિચય થયો હતો. ફરિયાદમાં જણાવાયું છે કે વકીલે તેમને કહ્યું હતું કે આ મામલો 'સંવેદનશીલ' છે અને તેને ક્રાઇમ બ્રાન્ચમાં કાળજીપૂર્વક હેન્ડલ કરવો પડશે. તેમણે કથિત રીતે સંકેત આપ્યો હતો કે આ મુદ્દો ઉકેલવા માટે એક પત્રકાર સહિતના લોકોને ચૂકવણી કરવી પડશે.
30 સપ્ટેમ્બરના રોજ સોની અને તેમના ભાગીદારો વકીલને તેની ઓફિસે મળ્યા હતા. ફરિયાદમાં કહેવાયું છે કે, તેમણે (વકીલે) અમને કહ્યું કે જાણીતા ગુજરાતી ડિજિટલ ન્યૂઝ વેબસાઇટના પત્રકાર દિર્ધાયુ વ્યાસ આ મામલો સંભાળી રહ્યા છે. જો અમે તાત્કાલિક રૂ.10 લાખ રોકડા નહીં આપીએ, તો ક્રાઇમ બ્રાન્ચમાં અમારી અરજીનો નિકાલ થશે નહીં.
ધમકી આપીને વધુ પૈસાની માંગણી
વકીલની વાત પર વિશ્વાસ રાખીને જ્વેલર્સે રૂ.10 લાખ રોકડા આપી દીધા હોવાનો દાવો કર્યો છે. જોકે, દિવસો વીતવા છતાં પોલીસ તપાસ ચાલુ રહેતા તેમણે વકીલ અને પત્રકાર પાસે જવાબ માંગ્યો.
જ્વેલર્સનો આરોપ છે કે તેમને જવાબને બદલે ધમકી મળી હતી. સોનીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, દિર્ધાયુ વ્યાસે અમને ફરીથી ફોન ન કરવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું કે તેઓ જાણે છે કે અમે સેકન્ડ-રેટ સોનાનો ધંધો કરીએ છીએ અને તેઓ અમારા વર્કશોપ પર GSTના દરોડા પડાવશે. તેમણે મીડિયામાં અમને બદનામ કરવાની અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાઠ ભણાવવાની ધમકી આપી.
ક્રાઇમ બ્રાન્ચની તપાસ શરૂ
આ ફરિયાદના આધારે પત્રકાર દિર્ધાયુ વ્યાસ સામે ખંડણી, છેતરપિંડી અને ગુનાહિત ધમકીની કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. જ્વેલર્સે પોલીસ સુરક્ષાના ખોટા વચનો આપીને છેતરવામાં આવ્યા હોવાનો અને પછી મીડિયામાં બદનામીની ધમકી આપીને દબાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ મૂક્યો છે.
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ કેસની નોંધણીની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે તપાસ ચાલુ છે. એક અધિકારીએ કહ્યું, અમે મની ટ્રેઇલ અને વચેટિયાઓની કથિત ભૂમિકા ચકાસી રહ્યા છીએ. તમામ સંડોવાયેલા લોકોના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. આ કેસના સંદર્ભમાં પત્રકાર દિર્ધાયુ વ્યાસ અને વકીલ પઠાણનો સંપર્ક કરવાનો પ્રયાસ સફળ રહ્યો ન હતો. ક્રાઇમ બ્રાન્ચ હવે તપાસ કરી રહી છે કે શું આમાં કોઈ મિલીભગત હતી અને શું ભૂતકાળમાં પણ આવી જ ફરિયાદો સપાટી પર આવી છે કે કેમ.








