Get The App

અમદાવાદની 90 ટકા હોટેલ-રેસ્ટોરાં પાસે પેસ્ટ કંટ્રોલના સર્ટિફિકેટ જ નથી: અવારનવાર જીવાતોથી ગ્રાહકો કંટાળ્યા

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદની 90 ટકા હોટેલ-રેસ્ટોરાં પાસે પેસ્ટ કંટ્રોલના સર્ટિફિકેટ જ નથી: અવારનવાર જીવાતોથી ગ્રાહકો કંટાળ્યા 1 - image


Ahmedabad News: અમદાવાદમાં ઓક્ટન્ટ પીઝા રેસ્ટોરન્ટમાં ગુલાબજાંબુની ચાસણીમાં જીવડું નીકળતા કોર્પોરેશન દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં એવી હતી. છેલ્લા એક વર્ષમાં અમદાવાદની ફાઈવ સ્ટાર હોટેલથી માંડીને નાની હોટેલ અને રેસ્ટોરન્ટમાં જીવાતો નીકળવાની ઘટનાઓ સામે આવી છે. અમદાવાદની કુલ 3628 ખાણીપીણીની હોટેલ, રેસ્ટોરેન્ટસ અને સ્ટ્રીટ ફૂડના રજીસ્ટર્ડ આઉટલેટમાંથી માત્ર 10 ટકા હોટેલોએ પણ પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ મેળવ્યું છે. ત્રણ હજારથી વધુ હોટલોમાં જીવાતોને નિયંત્રિત કરવાની કોઈ પોલીસી નથી. માત્ર મૌખિક જ ધ્યાન રાખવાનું જણાવી દેવામાં આવે છે.

ફાઈવ સ્ટાર કક્ષાની હોટલોમાં પણ સ્વચ્છતાની ફરીયાદો

વર્ષ 2023માં અમદાવાદમાં 2214 રેસ્ટોરન્ટ કેટેગરીની હોટલો હતી જેમાં ચાર ટકાનો વધારો થયો છે. વધતો જતો સ્વાદ રસિયાઓનો પ્રવાહ, હોટલના કિચનમાં નિયમિત સ્વચ્છતાનો અભાવ અને ટ્રેઈન્ડ સ્ટાફમાં શિસ્તના અભાવને કારણે અમદાવાદમાં વારંવાર જીવાતો અને વાસી ખાદ્ય પદાર્થોની ફરીયાદો આવી રહી છે. માત્ર સામાન્ય હોટેલો જ નહીં ઘણીવાર ફાઈવ સ્ટાર કક્ષાની હોટલોમાં પણ સ્વચ્છતાની ફરીયાદો જોવા મળી છે.

સપ્ટેમ્બર 2024માં શિવરંજની પાસે આવેલી અમદાવાદની જાણીતી ફાઈવ સ્ટાર હોટેલને હજુ થોડા મહિના પહેલાં જ 50,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. તો વસ્ત્રાપુરની અન્ય એક ફાઈવ સ્ટાર હોટેલને થોડા મહિના પહેલાં જ ભોજનમાં જીવાત નીકળતા દંડનીય કાર્યવાહી સાથે 48 કલાક હોટેલને બંધ રાખવામાં આવી હતી. બહેરામપુરાની બેકરીમાં જીવાત અને આઈસ્ક્રીમના કોનમાંથી ગરોળીની પૂંછડી નીકળવાની ઘટનાને હજુ થોડો જ સમય થયો છે, ત્યારે અમદાવાદની હોટલોમાં વધતા ધસારા સામે સ્વચ્છતાની જાગૃતિ દસ ટકાના પ્રમાણમાં પણ નથી તે અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતાં પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટથી સમજી શકાય છે. 

આ પણ વાંચો: વિસાવદર પેટાચૂંટણી: લોકરોષના ડરથી ભાજપ ઉમેદવાર પ્રચારમાં જ ના જઈ શક્યા, પોલીસે લોકોને ધમકાવ્યાનો આરોપ

'કોઈપણ ઘટના બને ત્યારે ગ્રાહક સાથે સમાધાન કરી લેવામાં આવે છે'

અંગે વાત કરતાં અમદાવાદની જાણીતી રેસ્ટોરેન્ટના માલિક જણાવે છે કે, 'દરેક હોટેલ અને રેસ્ટોરન્ટે પેસ્ટ કંટ્રોલ પોલીસી અનુસરવી જરૂરી છે. તેને લગતી એજન્સીઓ અને સ્વચ્છતાના ધોરણો છે. પરંતુ જે રીતે હોટલોમાં ગ્રાહકોનો ધસારો છે તેની સામે કોઈની પાસે સ્વચ્છતા જાળવવાનો સમય નથી રહેતો એ મોટી વિડંબના છે. મોટા ભાગે આવી કોઈપણ ઘટના બને ત્યારે ગ્રાહક સાથે સમાધાન કરી લેવામાં આવે છે. જે ઘટનામાં વધુ સંઘર્ષ થાય છે ત્યારે કોર્પોરેશનમાં ફરીયાદ અને દંડનીય કાર્યવાહી સાથે લોકો સમક્ષ વાત આવે છે. આવી ઘટનાઓ રોજબરોજ બનતી રહે છે છતાં સ્વચ્છતાના ધોરણોને અનુસરવામાં માત્ર દસ ટકા હોટલોમાં નિયમિતતા જોવા મળી છે.'

અમદાવાદની 90 ટકા હોટેલ-રેસ્ટોરાં પાસે પેસ્ટ કંટ્રોલના સર્ટિફિકેટ જ નથી: અવારનવાર જીવાતોથી ગ્રાહકો કંટાળ્યા 2 - image



Tags :