Ahmedabad News: રીચી રોડ, રીડ રોડ, જોર્ડન રોડ કે તિલક માર્ગ આવાં નામ સાંભળીને કોઈ રિક્ષા કે ટેક્સીવાળો તમને ત્યાં લઈ જાય ખરો? પરંતુ તમને જાણીને નવાઈ થશે કે આ નામ આપણા અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા ગાંધી રોડ, રિલીફ રોડ તેમજ પ્રેમ દરવાજા રોડના છે. અમદાવાદના રસપ્રદ ઇતિહાસમાં આજે કેટલાક ખ્યાતનામ માર્ગ અને સ્થાપત્યની વાત કરીશું.
આશ્રમ રોડ અમદાવાદનો મરીન ડ્રાઈવ
સાબરમતી અને કોચરબ આશ્રમ જેવા બે ઐતિહાસિક સ્થળોને જોડતો તેમજ કાશીવિશ્વનાથ મહાદેવ સંન્યાસ આશ્રમ જેવી જગ્યા ધરાવતો આશ્રમ રોડ માત્ર એક રસ્તો નથી, પરંતુ શહેરની શાન અને ભવ્યતાનું પ્રતીક છે. એક સમયે આ આશ્રમ રોડને મુંબઈના મરીન ડ્રાઈવ જેવો ગણવામાં આવતો હતો. નદીની લહેરો, વિશાળ રસ્તો અને તેની આસપાસ વિકસેલી આધુનિક ઈમારતોને કારણે આશ્રમ રોડ તે સમયે શહેરનું સૌથી મોભાદાર સરનામું હતું. જ્યારે આજે સી.જી. રોડ, એસ.જી. હાઈવે વગેરે વિસ્તારોએ પોશ એરિયાની ઓળખ લઈ લીધી છે.
અમદાવાદનો ઈતિહાસ અને તેના વિકાસની ગાથા અત્યંત રસપ્રદ છે. ખાસ કરીને તેના રસ્તા અને ઓળખ સમાન દરવાજાઓના નિર્માણ અને તેના નામની કહાણીઓ પણ ખૂબ જાણવા જેવી છે.
રીચી રોડ આધુનિકીકરણનું પ્રથમ પગલું
શહેરના આધુનિકીકરણ અને સુધારાઈનું પ્રથમ અને મહત્વનું પગલું ત્રણ દરવાજાથી પાંચકૂવા સુધી બનાવેલો રીચી રોડ હતો. રતનપોળ, પતાસાપોળ, ઢીંકવા ચોક, બાલા હનુમાન તેમજ અમૃતલાલની પોળ જેવી ગીચ વસ્તી ધરાવતી પોળોને બે ભાગમાં વહેંચીને આ રોડ બનાવવામાં આવ્યો હતો.
રાજમાર્ગ તરીકે ઓળખાવા લાગ્યો રોડ
સમયના વહેણ સાથે, એક સમયે રાજમાર્ગ તરીકે ઓળખાતો આ રોડ આજે ગાંધી રોડના નામથી પ્રખ્યાત છે. આ એ સમય હતો જ્યારે અમદાવાદ આધુનિકતા તરફ ડગ માંડી રહ્યું હતું. ધીમે-ધીમે ગાંધી રોડ પર વિકસતી બજાર અને લોકોની ચહેલ-પહેલને કારણે તે સાંકડો બન્યો. તે જ સમયે રેલવે સ્ટેશન સુધી પહોંચવા માટે એક ટ્રાફિકમુક્ત રસ્તાની જરૂર ઊભી થતાં સરદાર પટેલ (જ્યારે તેઓ મ્યુનિસિપાલિટીમાં હતા ત્યારે) અને મહાનુભાવોની દૂરંદેશીથી ગાંધી રોડને સમાંતર તિલક માર્ગનું નિર્માણ કરાયું, જે આજે રિલીફ રોડ તરીકે ઓળખાય છે. એ સમયે બનેલો આ આધુનિક રસ્તો આખા શહેરમાં આકર્ષણનું કેન્દ્ર હતો.
પાંચકૂવા નામ પાછળનો ઈતિહાસ
દિલ્હી ચકલાથી પૂર્વ તરફ એટલે કે હાલના પ્રેમ દરવાજા તરફ પણ જોર્ડન રોડ નામનો એક નવો માર્ગ કંડારવામાં આવ્યો હતો. રસ્તાઓને મહાનુભાવોના નામ આપવાની પરંપરા ખૂબ જૂની છે. બ્રિટિશકાળમાં બનેલા રીચી રોડનું નામ સર જેમ્સ રીચીના નામ પરથી અને જોર્ડન રોડનું નામ આર્થર જોર્ડનના નામ પરથી રાખવામાં આવ્યું હતું. જ્યારે લોકમાન્ય તિલકના સન્માનમાં આજના રિલીફ રોડને તિલક માર્ગ નામ અપાયું હતું.
પ્રેમ દરવાજા નામ પાછળનો ઈતિહાસ
દરિયાપુર સ્થિત પ્રેમ દરવાજા માટે પહેલા પ્રિન્સ વેલ્સ કે એલિસ જેવા નામ વિચારાયા હતા, પરંતુ નગરશેઠ પ્રેમાભાઈના નામ પરથી આખરે પ્રેમ દરવાજા નામ પ્રચલિત થયું. તેવી જ રીતે, પાંચ કૂવા આવેલા હોવાને કારણે તે વિસ્તારના દરવાજાને લોકોએ પાંચકૂવા દરવાજા તરીકે ઓળખવાનું શરૂ કરી દીધું હતું.


