Gujarat

અમદાવાદ-ગાંધીનગર રૃટની બસ આજથી પાર્શ્વનાથ ચોકડીથી ઉપડશે

By GS TEAM
7 Jul 20251 min read
અમદાવાદ-ગાંધીનગર રૃટની બસ આજથી પાર્શ્વનાથ ચોકડીથી ઉપડશે

ધોળકા શહેરમાં ઠેરઠેર ખાડાથી નિર્ણય લેવાયો

શહેરના અનેક માર્ગ પર પડેલા ખાડાના કારણે વાહન ચાલકોને હાલાકી ઃ તાકિદે સમારકામ હાથ ધરવા માંગ

ધોળકા,તા.૭

ધોળકા શહેરમાં વરસાદ બાદ  રોડ રસ્તાઓ ઉપર ઠેરઠેર ખાડાઓ પડી ગયા છે. તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં નહીં આવતાં વાહનચાલકોને પરેશાની ભોગવવી પડે છે. ત્યારે એસટી તંત્રએ મુસાફરોને પડી રહેલી હાલાકીને જોતા અમદાવાદ-ગાંધીનગર રૃટની બસ આજથી પાર્શ્વનાથ ચોકડીથી સંચાલન કરવાનો નિર્ણય લીધો છે. એસટી તંત્રના આ નિર્ણય બાદ ધોળકા નગરપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી ગઇ છે.

ધોળકા શહેરમાં વરસાદ બાદ મોટાભાગના જાહેર માર્ગો ઉપર ઠેરઠેર ખાડાઓ પડી ચુક્યાં છે. માર્ગ પર પડેલા ખાડાઓમાં વરસાદી પણી ભરાઇ ચુક્યાં છે. આ ખાડાઓથી વાહન ચાલકો, રાહદારીઓ હેરાન પરેશાન થઇ ચુક્યાં છે. ત્યારે રોડની દુર્દશાને ધ્યાને લઇ મુસાફરો અને એસ.ટી.બસોની સલામતી માટે ધોળકા એસ.ટી. તંત્રએ પ્રજાના હિતમાં આગવાનો નિર્ણય લીધો છે. શહેરમાં રસ્તાના ખરાબ રસ્તાની સ્થિતિ જોતાં તા.૮-૭-૨૦૨૫ને મંગળવારથી અમદાવાદ-ગાંધીનગર રૃટની કમામ બસનું સંચાલન કલિકુંડ પાર્શ્વનાથ ચોકડીથી કરવામાં આવશે. આમ ધોળકાની પ્રજાની સાથે ધોળકા એસ.ટી.તંત્ર પણ ધોળકાના મુખ્ય માર્ગોમાં પડેલા ખાડાઓથી ત્રાહિમામ પોકારી ઉઠી છે. પાલિકા તંત્ર હવે નિંદ્રામાંથી જાગી શહેરીજનોની સમસ્યા ઉકેલવા કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગણી ઉઠવા પામી છે.