Ahmedabad Fire Safety Drive: અમદાવાદ, શનિવાર દિલ્હીની ઘટના બાદ જાગેલા અમદાવાદ મ્યુનિસિપલના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિઝ વિભાગ દ્વારા પાલડી, નારણપુરા, મોટેરા, ચાંદખેડા વિસ્તારમાં વધારે છ હોટેલ, રેસ્ટોરન્ટ ફાયર સેફ્ટીની ખામી બદલ સીલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ગત બુધવારે થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુરમાં છ હોટેલ સીલ કરવામાં આવી હતી. જે કાર્યવાહી આજે આગળ વધારવામાં આવી હતી.
હોસ્પિટલ, કમર્શિયલ કોમ્પ્લેક્સ, ગેમઝોન જેવા સ્થળોએ આગની ઘટનાઓમાં મોટી સંખ્યામાં જાનહાનિ થાય તેવા સમયે અમદાવાદ શહેરમાં પણ ફાયર બ્રિગેડ દ્વારા જે તે ક્ષેત્રના એકમો સામે ઝુંબેશ શરૂ કરી દેવામાં આવે છે. પરંતુ થોડા સમયમાં સ્થિતિ ઠેરની ઠેર આવીને ઊભી રહી જાય છે.
એકાદ પખવાડિયા પહેલાં શહેરની 53 હોટેલોને ફાયર સેફ્ટીની ખામી બદલ નોટિસો ફટકારવામાં આવી હતી. આ નોટિસો સંદર્ભે ફાયર સેફ્ટીની વ્યવસ્થાની ક્ષતિઓ સુધારવામાં નહીં આવતા હવે ફાયર બ્રિગેડ દ્વારા હોટેલ, રેસ્ટોરન્ટ સીલ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. જેના ભાગરૂપે પાલડી, નારણપુરા, મોટેરા અને ચાંદખેડા વિસ્તારમાં આઠ હોટેલ, રેસ્ટોરન્ટ સીલ કરાયા છે.
મ્યુનિ. દ્વારા સીલ કરાયેલી હોટેલ
•હોટેલ આરામ ઓર્કિડ, મ્યુઝિયમ સામે, પાલડી
•હોટેલ આર.કે. રીજન્સી, શાંતિ નિકેતન સોસાયટી, નારણપુરા
•હોટેલ ગ્રીન ફોર્ચ્યુન, બી.ડી. પટેલ હાઉસ, નારણપુરા
•હોટેલ પેસિફિક એમ્પાયર, બી.ડી. પટેલ હાઉસ, નારણપુરા
•હોટેલ નીલકંઠ, સૃષ્ટિ આર્કેડ, મોટેરા
•હોટેલ ફિલિપ્સ, સૃષ્ટિ આર્કેડ, મોટેરા
•હોટેલ સનસ્ટાર ઈન, યુનાઈટેડ સ્ક્વેર, ચાંદખેડા
•કહાની પ્રોગ્રેસિવ રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવેટ, સ્નેહ પ્લાઝા, ચાંદખેડા


