Gujarat

અમદાવાદ: બંને હાથ ગુમાવ્યા છતાં હિંમત ન હાર્યા: દિવ્યાંગતાને મ્હાત આપી 20 ગરીબ બાળકોનું ભવિષ્ય ઘડતા બાબુભાઈ

By GS TEAM
22 Jun 20264 mins read
TukuTouch Logo
કહેવત છે ને કે 'જીવતો નર ભદ્રા પામે' જીવનમાં અચાનક આવતી દુર્ઘટનાઓ ઘણી વખત વ્યક્તિનું સમગ્ર જીવન બદલી નાખે છે. સ્વસ્થ શરીર સાથે જન્મેલી વ્યક્તિ જ્યારે અકસ્માત કે કુદરતી આફતના કારણે પોતાના અંગો ગુમાવે છે, ત્યારે તે હિંમત હારીને બીજા પર નિર્ભર થઈ જાય છે. પરંતુ, અમદાવાદના જૂના વાડજમાં રહેતા 49 વર્ષીય બાબુભાઈ પરમારના જીવનમાં પણ આવા અનેક સંઘર્ષો આવ્યા, જેમણે નીડરતાથી સામનો કરી આત્મનિર્ભરતાનો એક નવો ચીલો ચાતર્યો છે. કુદરતની ક્રૂરતા, સંઘર્ષ સામે અડગ મનોબળની આ કહાની આજના યુવાધન માટે દાખલારૂપ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: બંને હાથ ગુમાવ્યા છતાં હિંમત ન હાર્યા: દિવ્યાંગતાને મ્હાત આપી 20 ગરીબ બાળકોનું ભવિષ્ય ઘડતા બાબુભાઈ

Divyang Teacher Babubhai Parmar's Struggle Story: કહેવત છે ને કે 'જીવતો નર ભદ્રા પામે' જીવનમાં અચાનક આવતી દુર્ઘટનાઓ ઘણી વખત વ્યક્તિનું સમગ્ર જીવન બદલી નાખે છે. સ્વસ્થ શરીર સાથે જન્મેલી વ્યક્તિ જ્યારે અકસ્માત કે કુદરતી આફતના કારણે પોતાના અંગો ગુમાવે છે, ત્યારે તે હિંમત હારીને બીજા પર નિર્ભર થઈ જાય છે. પરંતુ, અમદાવાદના જૂના વાડજમાં રહેતા 49 વર્ષીય બાબુભાઈ પરમારના જીવનમાં પણ આવા અનેક સંઘર્ષો આવ્યા, જેમણે નીડરતાથી સામનો કરી આત્મનિર્ભરતાનો એક નવો ચીલો ચાતર્યો છે. કુદરતની ક્રૂરતા, સંઘર્ષ સામે બાબુભાઈની અડગ મનોબળની આ કહાની આજના યુવાધન માટે દાખલારૂપ છે.

નવ વર્ષની ઉંમરે છીનવાઈ ગયું બાળપણ

વાત છે વર્ષ 1986ની, જ્યારે પાટણમાં આવેલા વિનાશક વાવાઝોડા દરમિયાન બાબુભાઈ માત્ર 9 વર્ષના માસૂમ બાળક હતા. તે સમયે અચાનક જીવતો વીજતાર તેમના પર પડ્યો, વીજ કરંટ લાગતા તેમણે પોતાના બંને હાથ અને પગનો અંગૂઠો ગુમાવવો પડ્યો હતો. કહેવાય છે કે 'ભીંસ પડે ત્યારે સાચો માણસ પરખાય.' આ આઘાતજનક ઘટનાએ તેમના હસતા-ખેલતા જીવનમાં એક મોટો વળાંક આણ્યો અને ક્ષણભરમાં તેમના ભવિષ્યના થોકડાબંધ સપનાઓ ચૂર-ચૂર થઈ ગયા.

મોઢાથી પેન પકડી અનોખી સાધના કરી

દુર્ઘટના બાદ પણ બાબુભાઈએ હિંમત હારી નહીં. વિદ્યાનું અપમાન ન થાય અને પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકાય તે માટે તેમણે હાર માનવાને બદલે એક અનોખો સંકલ્પ કર્યો. પગ વડે લખવાને બદલે તેમણે દિવસ-રાત એક કરીને પોતાના મોઢાથી પેન પકડીને લખવાનું અઘરું કામ શીખવાનું શરૂ કર્યું. 'મન હોય તો માળવે જવાય' એ ઉક્તિને સાર્થક કરતા આ પદ્ધતિ શીખવામાં તેમને પૂરા ત્રણ વર્ષ લાગ્યા, પણ તેઓ અટક્યા નહીં.


શિક્ષણની ડિગ્રી મેળવી છતાં નડ્યો તિરસ્કાર

પોતાની દિવ્યાંગતાને મ્હાત આપીને બાબુભાઈએ ધોરણ 10 પછી પી.ટી.સી. (PTC) સુધીનો અભ્યાસ સક્ષમતાપૂર્વક પૂર્ણ કર્યો. વર્ષ 1994-95 દરમિયાન તેઓ રોજગારીની શોધમાં અમદાવાદ આવ્યા અને રામનગર વિસ્તારમાં ટ્યુશન લેવાનું શરૂ કર્યું. શરૂઆતમાં વિદ્યાર્થીઓ આવ્યા પરંતુ નવા ક્લાસિસ ખુલતા સંખ્યા ઘટી ગઈ. ત્યારબાદ શિક્ષક તરીકે અનેક શાળાઓમાં ઇન્ટરવ્યૂ આપ્યા, પણ શાળાઓએ ‘હેન્ડિકેપ વ્યક્તિ શિક્ષક ન બની શકે’ તેમ કહીને તેમને નકારી દીધા.

એનજીઓના સાથથી વિદ્યાદાનનો નવો રાહ

'ભગવાનના દરબારમાં દેર છે પણ અંધેર નથી.' મુશ્કેલીના એ સમયમાં એક એનજીઓ અને તેમની શિક્ષણ પદ્ધતિથી પ્રભાવિત થયેલા એક ભાઈ બાબુભાઈની વહારે આવ્યા. બાબુભાઈની વિદ્યાર્થીઓને ભણાવવાની અનોખી રીત અને વિદ્વતા જોઈને એનજીઓએ તેમને એક સોનેરી તક આપી. તેના પરિણામે, પોતાની યોગ્યતા સાબિત કરીને આજે તેઓ આ સંસ્થામાં આવતા બાળકોને ખૂબ જ રસપૂર્વક ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો શીખવી રહ્યા છે.

દિવ્યાંગ દંપતીનો પરિવાર માટે અદભુત પરિશ્રમ

વર્ષ 2004માં બાબુભાઈના લગ્ન ભાવનાબહેન સાથે થયા, જેઓ પોતે પણ એક આંખથી દિવ્યાંગ છે. 'સુખ-દુઃખ તો મનના વહેમ છે.' આ દંપતીએ ખુદ સંઘર્ષ વેઠ્યો હોવા છતાં ક્યારેય લાચારીને હાવી થવા દીધી નહીં. ઘર ચલાવવામાં સહયોગ આપવા પત્નીએ લોકોના ઘરે જઈને ઘરકામ શરૂ કર્યું. આ જ અથાગ પરિશ્રમના જોરે તેમણે પોતાની મોટી દીકરીના લગ્ન કરાવ્યા અને બાકીના બે બાળકોના જીવનને ઉજ્જવળ બનાવવા માટે આજે પણ રાત-દિવસ મહેનત કરી રહ્યા છે.

બ્રિજ નીચે ગરીબ બાળકોનું ભવિષ્ય ઘડતર

મહાન વિદ્વાન ચાણક્યએ સાચું જ કહ્યું છે કે, 'શિક્ષક ક્યારેય સાધારણ હોતા નથી!' આ વાતનું જીવતું-જાગતું ઉદાહરણ પૂરું પાડતા બાબુભાઈ આજે થલતેજ રેલવે ક્રોસિંગ નીચે નવા બની રહેલા બ્રિજ પાસે રોજ સવારે પહોંચી જાય છે. ત્યાં તેઓ સવારે 7.30 થી 10 વાગ્યા સુધી કચરો વીણતા કે કાળી મજૂરી કરતા શ્રમિકોના આશરે 20 જેટલા ગરીબ બાળકોને નિઃશુલ્ક ભણાવે છે અને તેમનું ભવિષ્ય ઘડી રહ્યા છે.

સરકારી શાળામાં એડમિશન અપાવી શિક્ષણનો વ્યાપ

બાબુભાઈ માત્ર આ ગરીબ બાળકોને બ્રિજ નીચે અક્ષરજ્ઞાન જ નથી આપતા, પરંતુ તેમની ચિંતા કરીને તેમાંથી મોટાભાગના વંચિત બાળકોનું સરકારી શાળામાં કાયદેસર એડમિશન પણ કરાવી આપે છે. 'પારકી આશ સદા નિરાશ' એ વાતને સમજીને તેઓ આ બાળકો પોતાના પગ પર ઉભા રહી શકે તે માટે તેમને આગળના અભ્યાસમાં પણ સતત મદદરૂપ થઈને સમાજ પ્રત્યેની પોતાની ફરજ અદા કરી રહ્યા છે.

મનોબળથી લાચારીને હરાવી બનેલા પ્રેરણામૂર્તિ

આજે ભલે બાબુભાઈ પાસે પોતાના બે હાથ નથી, પણ તેમની પાસે એવું અડગ મનોબળ અને પરિવારનો સાથ છે જે 20 પરિવારોનું અંધકારમય ભવિષ્ય પ્રકાશિત કરી રહ્યું છે. બાબુભાઈ ગર્વથી કહે છે કે, ‘મેં ક્યારેય મારી દિવ્યાંગતાને મારી લાચારી નથી બનવા દીધી.’ આજના યુગમાં તેમનું આ સમર્પણ અને સંઘર્ષ નવી પેઢી માટે સાચો માર્ગ બતાવનારું એક જીવતું-જાગતું ઉદાહરણ છે.