અમદાવાદ: હત્યા કેસમાં 5 આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન, હથકડી સાથે લંગડાતા ચાલતા શખસોને જોવા લોકો ઉમટ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News: અમદાવાદના સરખેજમાં સોશિયલ મીડિયા પર મૂકાયેલા એક વાંધાજનક સ્ટેટસને પગલે એક જ સમાજના બે જૂથો અથડામણ થઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. પોલીસે અત્યાર સુધી કુલ 5 આરોપીની ધરપકડ કરી છે અને અન્ય એક આરોપીની શોધખોળ ચાલી રહી છે. ત્યારે આજે (20મી માર્ચ) પોલીસ દ્વારા સરખેજમાં જ્યાં હત્યા થઈ હતી, તે સ્થળે પાંચેય આરોપીઓને લાવીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આસપાસમાં રહેતા લોકોના ટોળા પણ ત્યાં એકઠા થયા હતા. મહત્ત્વનું છે કે, આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
શું હતો સમગ્ર વિવાદ?
આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું કે, બે દિવસ પહેલા સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઠાકોરવાસમાં ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે માથાકૂટ થઈ હતી, જેમાં ગણેશ નામના યુવકની હત્યા થઈ અને જયેશ તથા નરેશ ઠાકોર ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ પાછળનું મુખ્ય કારણ ફરિયાદી પક્ષના આશિષ ઠાકોરે પોતાના મોબાઈલ સ્ટેટસમાં સામેવાળા પક્ષને ઉદ્દેશીને લખેલી ગાળો અને વાંધાજનક લખાણ હતું, જે સમજાવવા છતાં તેણે દૂર ન કરતા આ ઝઘડો થયો હતો.
આ કેસમાં અમે કુલ છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે, જેમાંથી પાંચ આરોપીઓને અત્યાર સુધીમાં ઝડપી લેવામાં આવ્યા છે. હાલમાં આ પાંચેય આરોપીઓ રિમાન્ડ પર છે અને તેઓએ ગુનો કેવી રીતે કર્યો તથા ઘટનાસ્થળે કેવી રીતે આવ્યા તે જાણવા માટે અમે તેમને અહીં લાવી ડેમોન્સ્ટ્રેશન પંચનામું કર્યું છે, જે અત્યારે પૂર્ણ થયું છે.
ગત મંગળવારે રાત્રે સરખેજ ગામના ઠાકોરવાસ વિસ્તારમાં આશિષ ઠાકોર દ્વારા વોટ્સએપ પર મૂકાયેલા વાંધાજનક સ્ટેટસને લઈને વિવાદ વધ્યો હતો. આ સ્ટેટસ દૂર કરવા માટે સામે પક્ષે વારંવાર સમજાવ્યા છતાં તે દૂર ન થતાં આશરે 6 શખ્સો હથિયારો સાથે આશિષના ઘરે ત્રાટક્યા હતા. આશિષ ઘરમાં છુપાઈ જતા હુમલાખોરોએ તેના પરિવારજનો પર હુમલો કર્યો, જેમાં ગણેશ ઠાકોરને છરીના ઘા ઝીંકાતા તેમનું મોત થયું, જ્યારે નરેશ અને જયેશ ઠાકોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ પર લઈ આગળની કાર્યવાહી ચાલુ રાખી છે.








