Get The App

પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ

Updated: Jun 23rd, 2026

GS TEAM

Google News
Google News
પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ 1 - image

Ahmedabad Missing Woman Murder Case Solved: અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે 9 વર્ષ જૂનો વણઉકેલાયેલો હત્યાનો ભેદ ઉકેલ્યો છે. વર્ષ 2017માં લગ્નના માત્ર 4 મહિનાના ટૂંકા ગાળામાં જ, પતિ મિનેશ સોલંકીએ પોતાની પત્ની કોમલબેનની ક્રૂરતાપૂર્વક હત્યા કરી, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નદીમાં ફેંકી દીધી હતી. એટલું જ નહીં, પોતાનો ગુનો છુપાવવા આરોપીએ પોલીસમાં પત્ની ગુમ થઈ હોવાની ખોટી ફરિયાદ પણ નોંધાવી હતી. જો કે, ક્રાઇમ બ્રાન્ચની સઘન તપાસ, બાતમી અને ટેકનિકલ એનાલિસિસના આધારે 9 વર્ષ પછી આ ગુનાહિત ષડયંત્રનો આખરે પર્દાફાશ થયો છે. આ તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે.

પ્લાન ઘડી પત્નીને મોતને ઘાટ ઉતારી

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે વર્ષ 2017માં કોમલબેનના લગ્ન મિનેશ દિનેશભાઈ સોલંકી સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન બંને વચ્ચે ઘરેલુ બાબતોમાં અવારનવાર ઝઘડા થતા હોવાથી, લગ્નના માત્ર 4 જ મહિનામાં પતિ મિનેશે પોતાની પત્નીને જાનથી મારી નાખવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.

રથયાત્રાના દિવસે નદીમાં ફેંકી કરી હત્યા

તારીખ 25 જૂન 2017ના રોજ રથયાત્રાના દિવસે મિનેશ કોમલબેનને ફરવા જવાના બહાને લઈ ગયો હતો. આખો દિવસ શહેરના વિવિધ સ્થળોએ ફેરવ્યા બાદ રાત્રિના સમયે તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે લઈ ગયો અને વાતોમાં પરોવી અચાનક કોમલબેનને ઊંચકીને નદીમાં ફેંકી દીધી હતી. પોતાનો ગુનો છુપાવવા માટે મિનેશે બીજા જ દિવસે કાલુપુર પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થઈ હોવાની ખોટી ફરિયાદ પણ નોંધાવી દીધી હતી. જો કે, ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આ ક્રૂર હત્યાનો ભેદ ઉકેલી આરોપી પતિ મિનેશ સોલંકીની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ: નવરંગપુરા મેટ્રો બ્રિજ નીચે પાર્ક કરેલી કારમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, FSLની લેવાઈ મદદ

પત્નીની હત્યા અને પુરાવાનો નાશ કરનાર મુખ્ય આરોપી મિનેશ ઉર્ફે દિનેશભાઈ પોપટલાલ સોલંકી (ઉં.વ. 31, હાથીજણ, અમદાવાદ) માત્ર હત્યા જ નહીં, પરંતુ અન્ય અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ સંડોવાયેલો છે. પોલીસ તપાસ દરમિયાન તેનો મોટો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે. વર્ષ 2019માં વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી મુજબ ગુનો નોંધાયો હતો. ત્યારબાદ વર્ષ 2022માં અમદાવાદના દરિયાપુર પોલીસ સ્ટેશનમાં હથિયારબંધીના ભંગનો ગુનો પણ નોંધાયો હતો. એટલું જ નહીં, વર્ષ 2025માં સાબરકાંઠાના ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં દારૂબંધીના કાયદાના ઉલ્લંઘન બદલ પણ તેની સામે ગુનો દાખલ કરવામાંવામાં આવ્યો હતો. આમ, પકડાયેલો આરોપી રીઢો ગુનેગાર હોવાનું સાબિત થયું છે.