Gujarat

શાહીબાગમાં ત્રણ ફ્લેટમાં રૂ. ૧.૨૦ કરોડનું રોકાણ કરાવીને છેતરપિંડી

By GS TEAM
11 Oct 20251 min read
શાહીબાગમાં ત્રણ ફ્લેટમાં રૂ. ૧.૨૦ કરોડનું રોકાણ કરાવીને છેતરપિંડી

અમદાવાદ,શનિવાર

શાહીબાગ વિસ્તારમાં રહેતા વ્યક્તિને  સારી કિંમતે રોકાણ માટે પોતાના ત્રણ  ફ્લેટ વેચાણે આપવાનું કહીને ગઠિયાએ ૧.૨૦ કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ  ક્રાઇમબ્રાંચમાં નોઁધવામાં આવી છે.શાહીબાગમાં આવેલા સ્પેક્ટ્રમ ટાવરમાં રહેતા હિતેન્દ્રસિંહ રાઠોડે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે માધુપુરામાં કાપડનો વ્યવસાય કરે છે. તેમને કોઇ સારી સ્કીમમાં રોકાણ કરવાનું હોવાથી એક મિત્રને વાત કરતા નયન પટેલ (રહે. સ્વપ્ન સિદ્ધી સોસાયટી, ઘાટલોડિયા) સાથે તેમનો પરિચય કરાવાયો હતો.

નયન પટેલે હિતેન્દ્રસિંહને જણાવ્યું હતું કે શાહીબાગમાં આવેલી સંકલ્પ ઇન્ટરસીટી નામની સ્કીમમાં તેમના ત્રણ ફ્લેટ આવેલા છે. જે વેચાણ કરવા છે. તેણે એક ફ્લેટની કિંમત ૪૮.૫૦ લાખ કહેતા હિતેન્દ્રસિહે રોકાણનો સોદો નક્કી કરીને કુલ ૧.૨૦ કરોડ રૂપિયા ચુકવી આપ્યા હતા. જ્યારે બાકીના નાણાં દસ્તાવેજ સમયે આપવાનુું નક્કી થયું હતું.  નયન પટેલે જણાવ્યું હતું કે હાલ ફ્લેટ બિલ્ડરના નામના જ છે. તેમની સાથે મિટીંગ કરાવીશ. બિલ્ડર જ તમને દસ્તાવેજ કરી આપશે. આ અંગે રજીસ્ટર્ડ બાનાખત પણ કરવામાં આવ્યો હતો. પરંતુ, નયન પટેલ બિલ્ડર સાથે મીટીંગ કરવામાં બહાના બનાવતો હતો. બાદમાં તેણે અનુકુળતાએ નાણાં પરત કરી આપવાનું કહીને ધમકી આપી હતી.આમ, છેતરપિંડી થયાની જાણ થતા નયન પટેલે આ અંગે ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે  તપાસ શરૂ કરી છે. જેમાં તેણે ચોક્કસ મોડ્સ ઓપરેન્ડીથી અનેક લોકો સાથેે છેતરપિડી આચરી હોવાની વિગતો પોલીસને જાણવા મળી છે.