Gujarat

સેન્ટ્રલ આઇબી સહિતની એજન્સીએ સિરિયાના નાગરિકની પુછપરછ શરૂ કરી

By GS TEAM
29 Aug 20251 min read
સેન્ટ્રલ આઇબી સહિતની એજન્સીએ સિરિયાના નાગરિકની પુછપરછ શરૂ કરી

અમદાવાદ,શુક્રવાર

સિરિયાથી ટુરીસ્ટ વિઝા પર ભારતમાં આવીને અમદાવાદ સહિતના શહેરોમાં ગાઝાના પિડીતોના નામે  મસ્જિદમાં જઇને આર્થિક મદદ મેળવવા આવેલા સિરિયાના ચાર નાગરિકો પૈકી એક નાગરિકની ધરપકડ કરી હતી. જેની પુછપરછમાં પોલીસને અનેક વિગતો મળી હતી. જેના આધારે વિવિધ મસ્જિદના મૌલાનાની પુછપરછ કરી હતી.  બીજી તરફ  વિવિધ સેન્ટ્રલ એન્જસીઓના અધિકારીઓએ મેઘાત અલઝહેરની પુછપરછ શરૂ કરી છે.

અમદાવાદ ક્રાઇમબ્રાંચે થોડા દિવસ પહેલા એલીસબ્રીજ પાસેની હોટલમાં ચાર સિરિયન નાગરિક પૈકી  મેઘાત અલઝહેર નામના વ્યક્તિને ઝડપી લીધો હતો.  પોલીસને જાણવા મળ્યું હતું કે મેઘાત અને અન્ય ત્રણ નાગરિકો ગાઝાના પિડીતોની મદદના નામે મસ્જિદમાં જઇને આર્થિકના નામે નાણાં એકઠા કરીને પોતાના મોજશોખ માટે ઉપયોગમાં લેતા હતા. જ્યારે ૧૫૦૦ ડોલર સિરિયામાં  એક સ્થાનિક સંસ્થાને મોકલ્યા હતા. ત્યારે પોલીસે વિવિધ મસ્જિદોમાં જઇને મૌલાના અન્ય લોકોના નિવેદન નોંધ્યા હતા. પરંતુ, મેઘાતની પુછપરછમાં કોલકત્તામાં તેમની ગેંગ અંગેની વિગતો મળી હતી. જેથી પોલીસે એક ટીમ કોલકત્તા મોકલીને તપાસ શરૂ કરાવી છે.બીજી તરફ  શુક્રવારે સેન્ટ્રલ આઇબીના અધિકારીઓએ સિરિયન નાગરિકની  પુછપરછ કરી હતી. આ ઉપરાંત, અન્ય સેન્ટ્રલ એન્જસીઓ પણ તપાસ કરશે. ત્યારબાદ તેને સિરિયા ડીપોર્ટ કરવામાં આવશે.