Ahmedabad Court: અમદાવાદના વટવા વિસ્તારમાં માત્ર 7 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કર્યા બાદ તેને દુષ્કર્મનો ભોગ બનાવી તેની ગળુ દબાવી કરપીણ હત્યા કરાઈ હતી. આ અત્યંત ચકચારભર્યાં કેસમાં અત્રેની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ અસ્મિકાબેન બી.ભટ્ટે આરોપી ઉમાશંકર શ્રીરામ શાહને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા ફટકારી હતી. એટલું જ નહીં, કોર્ટે ભોગ બનનાર બાળકીના માતા-પિતાની તરફેણમાં ધી ગુજરાત વીક્ટીમ કોમ્પનસેશન્સ સ્કીમ હેઠળ 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવી આપવા પણ હુકમમાં ઠરાવ્યું હતું. 63 પાનાના લંબાણપૂર્વકના ચુકાદામાં સ્પેશિયલ પોક્સો કોર્ટે ગંભીર અવલોકનો પણ કર્યાં હતા.
પાડોશીએ જ બાળકીને ઓરડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરી હત્યા કરી નાંખી
સ્પેશિયલ પોક્સો કોર્ટે સાક્ષીઓની જુબાની, રેકર્ડ પરના પુરાવા સહિતની બાબતો ધ્યાનમાં લઈ આરોપીને કુદરતી જીવનના અંત સુધીની આજીવન કેદની સજા ફટકારતાં જણાવ્યું કે, આરોપી સામેનો પોક્સો એક્ટ હેઠળનો ગંભીર ગુનો નિશંકપણે પુરવાર થાય છે, ત્યારે આવા અતિ ગંભીર ગુનામાં આરોપી પ્રત્યે સહેજપણ દયા દાખવી શકાય નહીં.
ચકચારભર્યા એવા આ કેસના ટ્રાયલ દરમિયાન સરકાર પક્ષ તરફથી અધિક સરકારી વકીલ ડી.એમ.ઠાકોર અને કમલેશ જી.જૈને અદાલતનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, ગત 14-11-2023ના રોજ શહેરના વટવા વિસ્તારમાં આરોપી ઉમાશંકર શ્રીરામ શાહ પાડોશમાં જ રમી રહેલી માત્ર સાત વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી પોતાની ઓરડીમાં લઈ ગયો હતો અને ત્યાં તેની પર બેરહમીથી દુર્ષ્ક્મ આચર્યું હતું. એટલું ઓછુ હોય તેમ આરોપીએ પોતાનો ગુનો છુપાવવા નિર્દોષ બાળકીનું ગળુ દબાવી કરપીણ હત્યા કરી નાંખી હતી.


