અમદાવાદમાં વરસાદી પાણીમાં વીજ કરંટના કારણે યુવક-યુવતીનું મોત, તંત્રની ઘોર બેદરકારી
Ahmedabad News: અમદાવાદમાં 8 સપ્ટેમ્બરની રાતે તંત્રની ઘોર બેદરકારીના કારણે બે લોકોના વીજકરંટ લાગવાની ઘટના સામે આવી છે. નારોલ વિસ્તારમાં એક યુવક અને એક યુવતીના ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યા હતાં. જો કે, ફાયરની ટીમની મદદથી બંનેના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, અમદાવાદના નારોલ વિસ્તારમાં મટનગલી ખાતે બે લોકોના વીજકરંટના કારણે મોત નિપજ્યા હતા. હકીકતમાં આ વિસ્તારમાં વરસાદી પાણીમાં કરંટ હતો. આ દરમિયાન એક દ્વિચક્રી વાહન પાણીમાંથી પસાર થયું કે, તુરંત કરંટ લાગતા વાહન પર બેઠેલા યુવક અને યુવતી બંને નીચે પટકાયા હતા. પાણીમાં કરંટ વધુ હોવાના કારણે બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. બંને મૃતક પતિ-પત્ની હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ સલામત ગુજરાતના દાવા વચ્ચે અસામાજિક તત્ત્વો બેફામ; અમદાવાદ-સુરતમાં બળાત્કારના કેસો વધ્યા
વરસાદી પાણીમાં કરંટ લાગતા મૃત્યુ
ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોને ફાયર વિભાગને મદદ માટે બોલાવ્યું હતું. ત્યારબાદ મોડી રાત્રે ફાયર વિભાગે બંનેના મૃતદેહને કરંટવાળા પાણીમાંથી બહાર કાઢ્યા અને બાદમાં બંનેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દ્વિચક્રી વાહન GJ-27 DD 0314ના આધારે વાહન ચાલકની ઓળખ કરી તેમના પરિવારને આ વિશે જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પરિજનો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મૃતક માટે ન્યાયની માંગણી કરી તંત્ર સામે ગંભીર આરોપ લગાવ્યા હતા.
આ પણ વાંચોઃ ...તો ગંભીરા બ્રિજ જેવી વધુ ઘટના બની હોત! ગુજરાતમાં બે-ચાર નહીં 166 બ્રિજ પડું-પડું
તંત્રની ઘોર બેદરકારી
સમગ્ર ઘટનાને લઈને તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. વરસાદ બંધ થઈ ગયા બાદ પણ વરસાદી પાણી રોડ પરથી ઓસર્યા નહતા. આ સિવાય વીજપોલ પડી ગયા બાદ પણ તેનો પાવર બંધ કરવામાં નહતો આવ્યો જેના કારણે બંનેના મોત થયા હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે.