Gujarat

અમદાવાદ: વેજલપુરમાં આગના કારણે પિતા-પુત્રનું ગાઢ નિદ્રામાં જ મોત, માતા ઈજાગ્રસ્ત

By GS TEAM
24 Feb 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ફરી એકવાર આગની ઘટનાએ માસૂમ જિંદગીઓ છીનવી લીધી છે. વેજલપુર વિસ્તારમાં આવેલા કૃષ્ણ નગરી રો-હાઉસમાં આજે વહેલી સવારે લાગેલી આગે ગંભીર સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા પિતા અને પુત્રનું મોત થયું છે, જ્યારે માતાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: વેજલપુરમાં આગના કારણે પિતા-પુત્રનું ગાઢ નિદ્રામાં જ મોત, માતા ઈજાગ્રસ્ત

Ahmedabad Vejalpur Fire: અમદાવાદમાં ફરી એકવાર આગની ઘટનાએ માસૂમ જિંદગી છીનવી લીધી છે. વેજલપુર વિસ્તારમાં આવેલા કૃષ્ણ નગરી રો-હાઉસમાં આજે વહેલી સવારે લાગેલી આગે ગંભીર સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા પિતા અને પુત્રનું મોત થયું છે, જ્યારે માતાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 

ગાઢ નિદ્રામાં હતો પરિવાર અને કાળનો પંજો ત્રાટક્યો

ઘટનાની વિગતો મુજબ, કૃષ્ણ નગરી સોસાયટીના મકાન નંબર 4માં જ્યારે આખો પરિવાર વહેલી સવારે ગાઢ નિદ્રામાં હતો, ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી. થોડી જ મિનિટોમાં આગની જ્વાળાઓએ આખા ઘરને લપેટમાં લઈ લીધું હતું. ઘરમાં હાજર સભ્યો કંઈ સમજે તે પહેલાં જ ધુમાડાના ગોટેગોટા અને આગની લપેટમાં આવી જતાં લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. 

મૃતકો: 

ધ્રુવ ગોહિલ, 39 વર્ષ (પિતા) 

શાશ્વત ધ્રુવ ગોહિલ, 9 વર્ષ (પુત્ર) 

ઈજાગ્રસ્ત:

મિત્તલ ગોહિલ, 35 વર્ષ (માતા ) 


ફાયર વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન

સ્થાનિકોએ આગ જોઈને તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. રેસ્ક્યુ કામગીરી દરમિયાન ટીમે ઘરની અંદર ફસાયેલા લોકોને અત્યંત ગંભીર હાલતમાં બહાર કાઢ્યા હતા. બંનેને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ગર્લફ્રેન્ડને મળવા આવ્યો ને મોત મળ્યું! આ રીતે ઠાર થયો દુનિયાનો સૌથી ક્રૂર ડ્રગ માફિયા અલ મેન્ચો

તપાસનો ધમધમાટ

પ્રાથમિક દૃષ્ટિએ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ સત્ય શું છે તે જાણવા માટે ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસે એફએસએલ (FSL) ની મદદથી તપાસ શરૂ કરી છે. રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર ફાયર સેફ્ટીના સાધનો અને જાગૃતિ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે.

પિતા-પુત્ર ગંભીર રીતે દાઝી ગયા હતા: ફાયર ઓફિસર 

આ ઘટના અંગે ફાયર ઓફિસરે જણાવ્યું કે, અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તે રો હાઉસમાં ઉપર અને નીચે બંને માળે જબરદસ્ત આગ ચાલુ હતી. અમે તાત્કાલિક અમારી 20,000 લિટરની ગજરાજ ટ્રક મંગાવી અને પાણીનો મારો ચલાવીને ઉપરની જ્વાળાઓ બુઝાવી દીધી હતી. આ દુર્ઘટનામાં એક પુરુષ અને તેમનો પુત્ર અંદર ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને અમે ચાલુ આગમાં જ બેભાન હાલતમાં બહાર કાઢીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ મોકલ્યા છે. એક નાની છોકરી પણ ભાગવા જતા હાથના ભાગે થોડી દાઝી ગઈ હતી.’

ફાયર વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આ ઘટના રાત્રે અંદાજે 3:30 વાગ્યાની આસપાસ બની હોવાથી તે સમયે બધા ઊંઘમાં હતા. આગનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ ત્યાં રહેતા એક વૃદ્ધાનું કહેવું હતું કે વાયરમાંથી કંઈક સળગતું હોય તેવી ગંધ આવતી હતી. પિતા-પુત્રના મોત અંગેના સમાચાર વિશે અમે કંઈ કહી શકીએ નહીં કારણ કે અમે તેમને બેભાન હાલતમાં હોસ્પિટલ રવાના કર્યા હતા અને તે અંગેની વધુ તપાસ અને વિગતો પોલીસની કાર્યવાહીનો વિષય છે