Ahmedabad Jagannath Rath Yatra 2026 Preparations: વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથજીની રથયાત્રાને સુરક્ષિત, સુવ્યવસ્થિત અને સ્વચ્છ રીતે સંપન્ન કરાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના મધ્ય ઝોનના વિવિધ વિભાગોએ વ્યાપક આયોજન હાથ ધર્યું છે. રથયાત્રાના સમગ્ર 13થી વધુ કિલોમીટર લાંબા રૂટ પર માર્ગ સુવિધા, ડ્રેનેજ, આરોગ્ય, લાઇટિંગ, ફાયર સેફ્ટી, એસ્ટેટ અને સફાઈ સહિતના તમામ પાસાઓને આવરી લેતી કામગીરી પૂર્ણતાના આરે છે.
ઇજનેર વિભાગ દ્વારા રસ્તા અને ડ્રેનેજ મરામત
ઈજનેર વિભાગ દ્વારા જમાલપુર વોર્ડમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે યોજાતી જલયાત્રાને ધ્યાનમાં રાખીને જગદીશ મંદિરની ચાલીથી સોમનાથ ભુદરના આરા સુધીના રૂટ પર 1,600 ચોરસ મીટર રોડ રીસરફેસિંગ અને 62 ચોરસ મીટર ફુટપાથ રિઇન્સ્ટેટમેન્ટની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રથયાત્રાના મુખ્ય 13થી વધુ કિલોમીટર રૂટ પૈકી 1,800 મીટર લંબાઈમાં રોડ રીસરફેસિંગ, 390 ચોરસ મીટર રોડ પેચવર્ક, 1,290 રનિંગ મીટર નવી ફુટપાથ તેમજ 540 ચોરસ મીટર ફુટપાથ રિઇન્સ્ટેટમેન્ટની કામગીરી હાથ ધરાઈ છે. આ ઉપરાંત, 92 મશીનહોલ રોડ લેવલે રિઇન્સ્ટેટ કરવામાં આવ્યા છે. રથયાત્રાના રૂટ પર આવેલા જમાલપુર, ખાડિયા, કાલુપુર અને શાહપુર વિસ્તારોમાં મુખ્ય ડ્રેનેજ લાઈનોની આગોતરી સફાઈ માટે સુપર સક્કર મશીન દ્વારા મશીનહોલ ડીસિલ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. રથયાત્રા પૂર્વે અને રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી માર્ગ પર બનાવવામાં આવતી પાણીની પરબો પર પીવાના પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. રથયાત્રાના દિવસે મ્યુનિસિપલ કોર્પોરેશન કમ્પાઉન્ડ ખાતે વિશેષ કંટ્રોલ રૂમ પણ કાર્યરત રહેશે.
ભયજનક મકાનો પર નોટિસ અને આરોગ્ય સુવિધા
એસ્ટેટ વિભાગ દ્વારા રથયાત્રા રૂટ પર આવેલા કુલ 633 ભયજનક મકાનો પર જાહેર ચેતવણીની નોટિસ લગાવવામાં આવી છે અને નાગરિકોને આવા મકાનો પર એકત્રિત ન થવા સૂચના અપાઈ છે. રથયાત્રાના દિવસે આવા દરેક મકાન પર ભીડ રોકવા માટે AMCના એક કર્મચારીને પોલીસકર્મી સાથે તૈનાત કરવામાં આવશે. સાથે જ ઈજનેર વિભાગ દ્વારા આ તમામ ભયજનક મકાનોની નીચે ફિક્સ બેરિકેડિંગ પણ ગોઠવવામાં આવશે. રથયાત્રા દરમિયાન આરોગ્ય સેવાઓ સુલભ રહે તે માટે AMCના હેલ્થ વિભાગ દ્વારા 7 મોબાઇલ મેડિકલ વાન, 15 મેડિકલ ઓફિસર અને આશરે 100 કર્મચારીઓને ફરજ પર રાખવામાં આવશે. આ ઉપરાંત, જમાલપુર, રાયખડ, શાહપુર અને કાલુપુર વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરો (UHC) પણ કાર્યરત રહેશે.
લાઇટિંગ વ્યવસ્થા અને પાવર બેકઅપનું આયોજન
લાઈટ વિભાગે રથયાત્રા રૂટ પર આવેલા 745 વીજથાંભલાઓની ચકાસણી પૂર્ણ કરી છે તેમજ સંબંધિત 44 લાઈટ સેક્શન ફીડરોનું મેન્ટેનન્સ પણ કર્યું છે. રથયાત્રાના દિવસે રૂટ પર 560 વધારાની ફ્લડલાઇટ્સ ગોઠવવામાં આવશે. ટોરેન્ટ પાવર સાથે સંકલન કરીને 11 ડીઝલ જનરેટર સેટ, AMCના 28 ટેક્નિકલ કર્મચારીઓ તથા ટોરેન્ટ પાવરના 33 ટેક્નિકલ કર્મચારીઓ તૈનાત રહેશે. વધુમાં, રથયાત્રાના ત્રણ દિવસ અગાઉથી નાઈટ શિફ્ટમાં સ્ટાફ કાર્યરત રહેશે અને તમામ થાંભલાઓ પર ઇન્સ્યુલેટિંગ પેઇન્ટિંગ તથા રી-નંબરિંગની કામગીરી કરવામાં આવશે.
ફાયર બ્રિગેડ અને વિશેષ સફાઈ અભિયાન
ફાયર વિભાગ દ્વારા પણ વિશેષ સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે. શહેરના 11 ફાયર સ્ટેશનોના 183 ફાયરકર્મીઓ તેમજ ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ મળી કુલ 203 કર્મચારીઓ રથયાત્રા પરત આવે ત્યાં સુધી સતત ફરજ બજાવશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે પણ સ્વચ્છતા માટે વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. 12 જુલાઈ, 2026થી જમાલપુર, ખાડિયા, દરીયાપુર, શાહપુર અને શાહીબાગ વોર્ડમાં રાત્રિ દરમિયાન વિશેષ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવશે, જેના સુપરવિઝન માટે સિનિયર સ્તરનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. આદર્શ સફાઈ કામગીરી માટે જમાલપુરમાં 40, ખાડિયામાં 30, દરીયાપુરમાં 45 અને શાહીબાગમાં 15 કામદારોને માટીકામ અને સફાઈ કામગીરી માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.
મોબાઇલ ટોઇલેટ અને માર્ગોની આધુનિક સફાઈ
પોલીસ વિભાગના ઉતારા તરીકે ઉપયોગમાં લેવાતી શાળાઓ અને કોમ્યુનિટી હોલ સહિતના સ્થળોએ 10 મોબાઇલ ટોયલેટ વાન મુકવામાં આવશે, જ્યારે પોલીસ વિભાગની સૂચના મુજબ રથયાત્રા રૂટ પર વધારાની 5 મોબાઇલ ટોયલેટ વાન પણ ગોઠવાશે. માર્ગ પર પડેલી માટી દૂર કરવા માટે દિવસ-રાત વધારાના બે વાહનો કાર્યરત રહેશે. જૂના વાહનો હટાવ્યા બાદ તેમની નીચે રહેલો કચરો દૂર કરીને વિશેષ સફાઈ હાથ ધરાશે. સમગ્ર રૂટ પર સ્વીપિંગ મશીન દ્વારા માર્ગોની સફાઈ, બ્રશિંગ, માટીકામ, પાવડર છંટકાવ તેમજ ન્યૂસન્સ સ્પોટ પર આદર્શ સફાઈ કરવામાં આવશે. રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાં કચરો રસ્તા પર ન ફેંકવા માટે ખાસ જાગૃતિ અભિયાન પણ હાથ ધરાશે.
કચરા નિકાલ માટે સ્ટાફ અને વાહનો
રથયાત્રા દરમિયાન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો વિશેષ ટેબલો પણ જોડાશે અને આઈ.ઈ.સી. (IEC) પ્રવૃત્તિઓ માટે સૃષ્ટિ વેસ્ટ મેનેજમેન્ટ સાથે સંકલન કરવામાં આવ્યું છે. સમગ્ર રૂટ પર આવેલા જાહેર શૌચાલયો અને યુરિનલની વિશેષ સફાઈ પણ કરવામાં આવશે. રથયાત્રાના દિવસે, 16 જુલાઈ, 2026ના રોજ મધ્ય ઝોનના 42 સુપરવાઈઝરી સ્ટાફ અને 365 સફાઈ કર્મચારીઓ ઉપરાંત અન્ય ઝોનના 3 સુપરવાઈઝરી સ્ટાફ અને 30 સફાઈ કર્મચારીઓ મળી કુલ 440 કર્મચારીઓ સ્વચ્છતા કામગીરી માટે તૈનાત રહેશે. રથયાત્રા પૂર્ણ થયા બાદ એકત્રિત થતા કચરાના ઝડપી નિકાલ માટે 20 ડોર-ટુ-ડોર ‘છોટા હાથી’ વાહનો, 4 રેફ્યુઝ કોમ્પેક્ટર અને 4 ‘407’ પ્રકારના વાહનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ઉત્તર ઝોનમાં બિનસલામત બાંધકામો સામે કાર્યવાહી
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને અનુલક્ષીને ઉત્તર ઝોન વિસ્તારમાં 1.2 કિમીના યાત્રામાર્ગ પર આવતાં બિનસલામત મકાનો અને બાંધકામોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રથયાત્રા રૂટ ઉપર આવેલા મકાનોમાં બિનસલામત ગેલેરી, ઝરુખા તેમજ અન્ય જોખમી ભાગોનું સમારકામ, દૂરકરણ અથવા સુરક્ષિતીકરણ કરાવવા તેમજ રથયાત્રાના દિવસે આવા ભાગોમાં પ્રવેશ ન કરવા દેવા અંગે કુલ 135 ચેતવણીરૂપ નોટિસો જારી કરવામાં આવી છે. ઉપરાંત, ભયજનક હાલતમાં આવેલા મકાનોને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (GPMC) એક્ટની કલમ 264 હેઠળ કુલ 18 નોટિસો આપવામાં આવી છે. જાહેર સલામતીને પ્રાથમિકતા આપતાં તંત્ર દ્વારા અત્યાર સુધીમાં એક ભયજનક બાંધકામ ઉતારી લેવામાં આવ્યું છે. રથયાત્રા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે ઉત્તર ઝોનમાં સતત નિરીક્ષણ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
સરસપુર રથયાત્રા રૂટ પર કચરા સંગ્રહ
સરસપુર-રખિયાલ વોર્ડ વિસ્તારમાં રથયાત્રાના મહત્વપૂર્ણ પડાવને ધ્યાનમાં રાખી સફાઈ, ઘન કચરા વ્યવસ્થાપન અને નાગરિક સુવિધાઓ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સરસપુર-રખિયાલ વોર્ડનો રથયાત્રા રૂટ કાળુપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરથી શરૂ થઈ હરિયાવાડ, ગોસાણી સર્કલ, બાલભવન રોડ અને સરસપુર ચાર રસ્તા સુધીનો છે. આ સમગ્ર માર્ગ પર સ્વચ્છતા જળવાઈ રહે અને યાત્રાળુઓને કોઈ અગવડતા ન પડે તે માટે AMC દ્વારા આગોતરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. સફાઈ વ્યવસ્થાના ભાગરૂપે સરસપુર વિસ્તારમાં કુલ 13 ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ વાહનો તૈનાત કરવામાં આવ્યા છે. તેમાં લુહાર શેરી ખાતે 1, કડિયાવાડ ખાતે 2, વાસણ શેરી ખાતે 1, સાલ્વીવાડ ખાતે 1, તળીયાની પોળ ખાતે 1, સ્વામિનારાયણ મંદિર વિસ્તારમાં 3, રાવળ વાસ ખાતે 1, લીમડા પોળ ખાતે 1, આંબલીવાડ ખાતે 1 તેમજ આંબેડકર હોલ વિસ્તારમાં 1 વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ વાહનો દ્વારા સતત કચરા સંગ્રહ અને નિકાલની કામગીરી કરવામાં આવશે.
શ્રદ્ધાળુઓ માટે વિશેષ સફાઈ અને સુવિધાઓ
મ્યુનિસિપલ તંત્ર દ્વારા રથયાત્રા દરમિયાન દિવસ તેમજ રાત્રિના સમયે સતત સફાઈ કામગીરી સુનિશ્ચિત કરવા માટે બે આર.ડબલ્યુ.એ. (RWA) સંસ્થાની મંજૂરી પ્રાપ્ત કરી વિશેષ ટીમોને કાર્યરત રાખવામાં આવી છે. આ ઉપરાંત, સરસપુર વોર્ડમાં આવેલી વિવિધ પોળોમાં રસોડાઓ ધોવડાવવા માટે તેમજ ઘન કચરો એકત્રિત ન થાય અને સમયસર ઉઠાવી શકાય તે માટે ચાર ન્યુસન્સ ટેન્કરોની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યાત્રાળુઓની સુવિધાને પ્રાથમિકતા આપતાં સરસપુર વિસ્તારમાં ચાર મોબાઇલ ટોઇલેટ વાન પણ તૈનાત કરવામાં આવશે. જેમાં સરસપુર બાલભવન-વિષ્ણુનગર સોસાયટી સામે, શા.ટી.લા. સર્કલ (ભગવતીનગર રોડ), આંબેડકર હોલ કમ્પાઉન્ડ તથા જરૂરિયાત મુજબ અન્ય સ્થળો પર વ્યવસ્થા કરવામાં આવશે. આ સુવિધાઓ દ્વારા મોટી સંખ્યામાં ઉમટનારા ભક્તજનોને સ્વચ્છ અને સુવિધાસભર વાતાવરણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.


