Gujarat

અમેરિકા સ્થાયી થયેલા NRI દંપતીના અખબારનગર સ્થિત મકાનમાંથી 21 લાખના સોનાના દાગીનાની ચોરી

By GS TEAM
20 May 20262 mins read
TukuTouch Logo
શહેરના અખબારનગર વિસ્તારમાં આવેલી શિવકૃપા સોસાયટીમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમેરિકા સ્થાયી થયેલા એક NRI પરિવારના ઘરમાં ચોરી થઇ હતી. આ પરિવાર જ્યારે ઘરમાં જ હાજર હતા તે દરમિયાન કબાટમાંથી આશરે રૂપિયા 21 લાખની કિંમતના સોનાના દાગીના ગાયબ થઈ જતાં ચકચાર મચી ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા સ્થાયી થયેલા NRI દંપતીના અખબારનગર સ્થિત મકાનમાંથી 21 લાખના સોનાના દાગીનાની ચોરી

Ahmedabad News: શહેરના અખબારનગર વિસ્તારમાં આવેલી શિવકૃપા સોસાયટીમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમેરિકા સ્થાયી થયેલા એક NRI પરિવારના ઘરમાં ચોરી થઇ હતી. આ પરિવાર જ્યારે ઘરમાં જ હાજર હતા તે દરમિયાન કબાટમાંથી આશરે રૂપિયા 21 લાખની કિંમતના સોનાના દાગીના ગાયબ થઈ જતાં ચકચાર મચી ગઈ છે. આ મામલે વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અમેરિકા જવા માટે બેગ પેક કરતી વખતે ખબર પડી

હાલ અમેરિકામાં મોટેલનો વ્યવસાય કરતા દેવાંગભાઈ ભટ્ટ અને તેમના પત્ની પ્રીતિબેન સમયાંતરે અખબારનગર સ્થિત પોતાના ઘરે આવતા રહે છે. ગત વર્ષે જુલાઈ મહિનામાં જ્યારે તેઓ વતન આવ્યા હતા, ત્યારે તેમણે બેંકના લોકરમાંથી દાગીના કાઢીને પોતાના ઘરના સેફમાં મૂક્યા હતા. ગત 16 એપ્રિલના રોજ પ્રીતિબેન અમેરિકા પરત ફરવા માટે પોતાના સામાનનું પેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન કબાટ ખોલતા જ તેમના હોશ ઊડી ગયા હતા, કારણ કે અંદર રાખેલા 21 લાખના સોનાના દાગીના ગાયબ હતા.

અમેરિકા જવાની ઉતાવળમાં પહેલાં કરી લેખિત અરજી

16 એપ્રિલે જ દંપતીની અમેરિકાની ફ્લાઇટ હોવાના કારણે, તેઓ તાત્કાલિક સંપૂર્ણ ફરિયાદ નોંધી શક્યા નહોતા. જેથી તે સમયે તેમણે વાડજ પોલીસને લેખિતમાં અરજી આપીને અમેરિકા રવાના થવું પડ્યું હતું. થોડા દિવસ પૂર્વ આ દંપતી ફરી ભારત પરત ફર્યું હતું અને ઘરમાં ઝીણવટભરી તપાસ કરવા છતાં દાગીના ન મળતા આખરે તેમણે સત્તાવાર રીતે ચોરીની એફઆઈઆર (FIR) નોંધાવી છે.

આ પણ વાંચો : 'રોમમાં તમારું સ્વાગત છે...' ઈટાલી પહોંચતા જ PM મોદી અને મેલોનીની નવી સેલ્ફી વાઈરલ

ઘરકામ કરતી મહિલા શંકાના દાયરામાં

પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ NRI દંપતી જ્યારે પણ અમેરિકાથી અમદાવાદ પોતાના ઘરે આવતું, ત્યારે ઘરની સાફસફાઈ અને કચરા-પોતા માટે પાયલ પરમાર નામની મહિલાને કામે રાખતા હતા. પરિવાર ઘરમાં જ હાજર હોય અને તાળા તૂટ્યા વગર કબાટમાંથી દાગીના ચોરાયા હોવાથી પોલીસ આ મામલે ઘરઘાટી કે કોઈ ભેજાબાજની સંડોવણી હોવાની આશંકા સાથે તપાસ કરી રહી છે.

વાડજ અને નારણપુરા પોલીસ માટે મોટો પડકાર

અખબારનગરમાં થયેલી આ 21 લાખની ચોરી કોઈ એકલ-દોકલ ચોરનું કામ નથી એવું લાગી રહ્યું છે. આ ઘટનાની આસપાસ જ નજીકના નારણપુરા અને શાસ્ત્રીનગર વિસ્તારોમાં પણ તાજેતરમાં જ મોટી ઘરફોડ ચોરીના બનાવો નોંધાયા છે. આ ત્રણેય વિસ્તારો એકબીજાથી માત્ર 5 કિલોમીટરની ત્રિજ્યામાં જ આવેલા હોવાથી, આ પટ્ટામાં કોઈ ચોક્કસ પ્રોફેશનલ ગેંગ સક્રિય થઈ હોવાની આશંકા છે. આ ગેંગને પકડવી હવે પોલીસ માટે નાકનો સવાલ બની ગયો છે.